Comments

બિહારને વિશેષ રાજ્યનો દરજજો મળે એમ લાગતું નથી

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે એ માટે નીતીશકુમાર ઘણા સમયથી મહેનત કરે છે. એનડીએમાં એ હોય કે ના હોય પણ આ માંગ એ દોહરાવતા રહ્યા છે. હવે તો એનડીએ સરકારમાં એ મુખ્ય ટેકેદારમાંના એક છે. આમ છતાં એમની આ માગણી સ્વીકારાતી નથી અને નાણાંમંત્રી સીતારમનની ના પછી તો વાત વધુ ગંભીર બની ગઈ છે. એમાં વડા પ્રધાન દ્વારા નીતિ આયોગની પુનર્રચના કરી છે અને એમાં બિહારના ત્રણ મંત્રીઓનો સમાવેશ કરી જાણે નીતીશ સામે ગૂગલી ફેંકી છે. નીતિશકુમાર આ સ્થિતિમાં શું કરશે એ કહેવું મુશ્કેલ છે.

બિહારમાં સુશાસન બાબુની ઈમેજ બનાવી મુખ્યમંત્રી તરીકે સતત ખુરશી પર ટકી રહેલા નીતીશકુમાર માટે બિહારમાં વર્ચસ જમાવી રાખવું મુશ્કેલ બની ગયું છે. એક તો હવે એ સુશાસન બાબુ રહ્યા નથી અને હવે પલટુરામ બની ગયા છે. એમને એમની ખુરશી જ વહાલી છે એ એમના વારેવારે દલબદલ પરથી સ્પષ્ટ થઇ ગયું છે. એમાં બિહારને વિશેષ દરજ્જો આપવાની માગણી સ્વીકારાતી નથી એ એમના માટે રાજકીય રીતે એક ઝટકા સમાન છે.

હમણાં જ પટનામાં એક પત્રકાર પરિષદમાં નાણામંત્રી નિર્મલા સિતારમને સ્પષ્ટ કરી દીધું કે,  એમ બિહારને વિશેષ દરજ્જો આપી ના શકાય. એ માટે નાણાં પંચ દ્વારા ભલામણ થવી જોઈએ. અત્યાર સુધી જેડીયુ દ્વારા વારેવારે વિશેષ દરજ્જા માટે દબાણ કરવામાં આવતું હતું. લોકસભામાં પણ જેડીયુના સભ્યો આ માટે મુદો ઉઠાવતા રહ્યા છે અને ભાજપ એકલા હાથે સત્તા મેળવી ના શક્યું અને ટીડીપી – જેડીયુનો સહારો લેવાનું ફરજીયાત બન્યું ત્યારે એવું લાગતું હતું કે, હવે નીતીશની માગણી સ્વીકારવામાં આવશે. બીજી બાજુ , ટીડીપીના આંધ્ર વિજય બાદ નાયડુએ આંધ્રમાં પેટ્રો રીફાઈનરીની યોજના મંજૂર કરાવી લીધી અને એની જાહેરાત હવે બજેટમાં થવાની છે ત્યારે એવું લાગતું હતું કે, નીતીશની માગણી પણ સ્વીકારશે. એના બદલે નાણામંત્રીએ જે નિવેદન કર્યું એ જેડીયુ માટે ઝટકા સમાન છે.

બીજી બાજુ , વડા પ્રધાન મોદીએ નીતિ આયોગની પુનર્રચના કરી નાખી છે. એમાં એ ચેરમેન હોય છે અને બિહારના ત્રણ મંત્રીનો સમાવેશ કર્યો છે. રાજીવ રંજન , જીતેન રામ અને ચિરાગ પાસવાન. આ નિર્ણય દ્વારા મોદીએ જાણે કે, નીતીશને પડકાર ફેંક્યો છે કે, હવે આયોગમાં બિહારના ત્રણ મંત્રીઓ છે એ બિહારને વિશેષ દરજ્જો મળે એ માટે વાતાવરણ બનાવે. નાણામંત્રીના નિવેદન અને મોદીના નિર્ણય સામે જેડીયુ દ્વારા હજી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

કદાચ મોદી સરકાર દ્વારા એક પ્રકારે નીતીશને સંદેશો અપાયો છે. બિહારમાં નીતીશનું વજન ઘટી રહ્યું છે. ચિરાગ પાસવાનને લોકસભાની ચૂંટણીમાં જે રીતે મહત્ત્વ અપાયું એ પણ મહત્ત્વનું છે. બીજું કે, નીતીશની આબરૂ ઘટતી જાય છે. બિહારની આગામી ચૂંટણીમાં જેડીયુની સ્થિતિ કેવી રહેવાની એ કહેવું મુશ્કેલ છે. હમણાં જ ચૂંટણી વ્યૂહકાર અને બિહારના ચૂંટણી જંગમાં જેમનો પક્ષ પહેલી વાર ઉતરનારો છે એ પીકેએ સ્પષ્ટ કહ્યું છે કે, આગામી ચૂંટણીમાં નીતીશના પક્ષને તો ખાસ્સું નુકસાન થવાનું પણ સાથે ભાજપને પણ નુકસાન થશે. શું ભાજપને આ વાતનો અંદાજ આવી ગયો છે અને આગામી ચૂંટણીમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડે એવું શક્ય છે ? બિહારમાં નવાજૂની થવાની સંભાવના વધવા લાગી છે.

યોગી આદિત્યનાથની મુશ્કેલી વધતી જાય છે
બિહારમાં ભાજપના નબળા દેખાવ પછી યોગી આદિત્યનાથ પર વાર પર વાર થતા જાય છે. તાજેતરમાં આ મુદે્ પક્ષની બેઠકમાં યોગી અને ઉપમુખ્યમંત્રી મૌર્યનાં નિવેદનોએ સારી એવી ચર્ચા જગાડી છે અને યોગી સામે કોઈ પગલાં લેવાશે એવી હવા ફૂંકાવા લાગી છે એ બધાની વચ્ચે સહરાનપુરના ડીએમ દ્વારા એક ફતવો બહાર પડાયો છે એનો વિવાદ થાય એ સ્વાભાવિક છે. કાવડ યાત્રા શરૂ થવાની છે અને આ માર્ગ પર જેટલી દુકાનો આવે છે એ બધાને એના માલિક કોણ છે , એ  નામના પાટિયાં રાખવાનું ફરજીયાત બનાવાયું છે. આ પાછળ આમ તો એવો તર્ક અપાય છે કે, દર વેળા કાવડયાત્રીઓ અહીંથી નીકળે છે અને અમુક ચીજોના ઉપયોગ અંગે પરહેઝ હોય છે એટલે કન્ફયુઝનની સ્થિતિ ના રહે એ માટે આવો નિર્ણય લેવાયો છે.

પણ આ વાત ગળે ઉતરતી નથી. કારણ કે, આ માર્ગ પર મુસ્લિમ વેપારીઓની સંખ્યા પણ એટલી જ છે અને આ રીતે હિંદુ મુસ્લિમ દ્વેષ ફેલાય એવી તો કોઈ મનસા તંત્રની નથી ને , એવો  સવાલ પુછાવા લાગ્યો છે. અખિલેશ યાદવ અને કોંગ્રેસે હલ્લા બોલ કર્યું છે. કોંગ્રેસે તો કહ્યું છે કે, આ તો મુસ્લિમોનાં આર્થિક બહિષ્કારના સમાન્યીકરણનો પ્રયાસ છે. અખિલેશ યાદવે પણ ટીકા કરી છે તો અસ્સુદીન ઓવૈસીએ ત્યાં સુધી કહી દીધું છે કે, યોગી આદિત્યનાથમાં હિટલર પ્રવેશી ગયો છે.  બસપા દ્વારા માગણી થઇ છે કે, આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ અને આવી જ માગણી જેડીયુ દ્વારા પણ થઇ છે.

ભાજપ આ નિર્ણયની તરફેણમાં છે પણ આ નિર્ણયના પગલે દુકાનોનાં નામ બદલાયાં છે અને કેટલીક દુકાનોમાંથી મુસ્લિમ નોકરોને દૂર કરાયા છે. કદાચ આ મામલો વધુ વિવાદે ચઢે એમ છે અને કોર્ટ સુધી પણ વાત પહોંચે એવું બને. એ પહેલાં યોગી સરકાર આ મુદે્ કોઈ નિર્ણય લે છે કે કેમ એ જોવાનું છે.બીજી બાજુ યુપીમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કોણે કામ કર્યું એ મુદે્ હાઈ કમાંડને અહેવાલ સોંપાયો છે અને એમાં પાંચ નેતાનાં નામ છે એવી ચર્ચા શરૂ થઇ છે. હવે દિલ્હીથી શું નિર્ણય લેવાય છે એના પર બધાની મીટ મંડાઈ છે. યોગી આદિત્યનાથ સામે મોરચો મંડાયો છે અને મોવડીમંડળ માટે પણ પડકાર છે કે, યુપીમાં કોઈ બદલાવ જરૂરી છે કે, કેટલાક નિર્ણયોથી કામ ચાલી જશે એ નક્કી કરવાનું છે.
કૌશિક મહેતા            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top