Charchapatra

સોહામણું ફૂલ

રામ મંદિરમાં અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ માત્ર દેશ પૂરતી જ નહિ વિદેશોમાં પણ ખાસ્સી ચર્ચા જગાવી.આમાં પ્રશંસાનાં પુષ્પો સાથે કડવાશનાં કાંટાઓ પણ હતાં. પરંતુ વડા પ્રધાનની શ્રદ્ધાશીલ લોકપ્રિય ઈમેજ અને ટી.વી., પોસ્ટર અને દૈનિકોના તરાપે અયોધ્યાની વૈતરણી સુપેરે દેશ તરી ગયો.પછી નાના મોટા સારા નરસા વિવાદની મોસમ પણ આવી ગઇ.આમ છતાં એક ચર્ચા હજુ ય ચાલુ છે અને ભવિષ્યમાં પણ રહેશે તે એ કે ધર્મમાં રાજકારણ કે રાજકારણ માટે ધર્મ કેટલો ઉચિત? એ જે હોય તે.આ વિષય સંતો અને મહંતોનો છે એમાં હું નથી પડવા માગતો. પણ સાહિત્યમાં રસ ધરાવતો અને કામ કરતો હોવાથી પ્રેમ, સૌંદર્ય, રોમાન્સ વગેરે સાથે પનારો ન પાડીએ તો કશું સર્જન થઇ શકે  જ નહિ.

હાલ આપણે સમયના એવા ખંડમાંથી પસાર થઇ રહ્યાં છીએ કે જીવનનું એક પણ ક્ષેત્ર નથી રહ્યું કે જેમાં રાજકારણ ના આવતું હોય.ઘરનાં પાણિયારાથી માંડીને સંસદની બેન્ચની પાટલીઓ સુધી એનો વ્યાપ છે.તો રાજકારણમાં સૌંદર્યનો ફાળો કેમ ન હોઇ શકે? જો કે સૌંદર્ય એ સ્ત્રીઓનું આગવું આભૂષણ છે અને મોટી તકલીફની વાત પણ સ્ત્રીઓ, ખાસ કરીને યુવતિઓ માટે  એ જ છે કે રૂપ ઈશ્વર બધાને નથી આપતો.આમ તો સંસદમાં અને સંસદની બહાર ઘણી જાજરમાન સ્ત્રીઓ છે .પણ એમાં મોટા ભાગની ઉંમર વટાવી ગયેલી પ્રૌઢાઓ છે. આમાં જે કોઇ રાજકીય યુવા પ્રતિભાઓ  થોડીક છે ,એમાં પ્રિયંકા ગાંધીનું નામ નિ:સંકોચ મૂકી શકાય.ગુજરાત વિધાનસભાની સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં એણે એકલા હાથે પ્રચાર કરી કોંગ્રેસને વિજય અપાવ્યો ત્યારથી એ લાઈમ લાઈટમાં છે.

અહીં રાજકારણના રસિયા મારા એક મિત્રે પ્રશ્ન કર્યો કે વડાપ્રધાન શ્રી.,  સ્વ.નહેરૂ, શ્રીમતિ ઈંદિરા ગાંધી, સોનિયા ગાંધી, રાજીવ અને રાહુલ ગાંધી પર એમના રાજકીય ભાષણમાં આકરા પ્રહારો કયારેક કરી બેસે છે, તો પ્રિયંકાનું તો નામ સુદ્ધાં નથી લેતા, એમ કેમ ? મેં એને હળવાશથી કહ્યું કે એ બાજપાઈની જેમ કવિ જીવ છે અને યુવાનીમાં કવિતાઓ લખી પણ છે.ભલા,  આવી વ્યકિત પ્રહાર કરી શકે ખરી ?
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top