Gujarat

‘આયુષ્યમાન ભારત’ યોજના હેઠળ ગુજરાતમાં કોરોનાના એકપણ દર્દીની સારવાર નહીં: મોઢવાડિયા

‘આયુષ્યમાન ભારત’ યોજનાને દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવી ઢંઢેરો પિટવામાં આવ્યો હતો. પરંતુ તેનો પરપોટો કોરોના મહામારીમાં ફુટી ગયો છે તેવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સિનિયર પ્રદેશ અગ્રણી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી સમયમાં ગુજરાતમાં ‘આયુષ્યમાન ભારત’ યોજના અંતર્ગત એકપણ દર્દીની સારવાર કરવામાં આવી નથી.

મોઢવાડિયાએ કહ્યું હતું કે રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ ધરાવતા 10,430 લોકોએ કોરોના સારવારના ખર્ચ ચૂકવવા સરકારમાં અરજી કરી હતી. પરંતુ તેમની અરજીને પણ ભાજપની સરકારે ધ્યાને લીધી નથી. કોરોના મહામારીમાં પોતાના સ્વજનોને બચાવવા લોકો રઝળી રહ્યા હતાં, ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા હતા, પરંતુ ભાજપ સરકારને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપવાનું સુઝ્યું નહી.

તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં પણ આયુષ્યમાન ભારત યોજનાથી 50 કરોડ લોકોને લાભની વાત કરવામાં આવી હતી, પરંતુ 6 લાખ 5 હજાર 308 કોરોના દર્દીઓની આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવાર થઈ છે તેમાંથી 1.50 લાખ દર્દીઓની સારવાર તો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થઈ છે. એટલે બાકીના રાજ્યોની સ્થિતી સમજી શકાય તેમ છે. તેમાંય ગુજરાતમાં તો એકપણ કોરોના દર્દીની સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ થઈ જ નથી.

Most Popular

To Top