ગાંધીનગર : આજે કૃષિ અને પશુપાલન વિભાગ હેઠળ નવનિયુક્ત ૩૪ બીજ અધિકારી અને ૧૧ પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો.આ સમારંભમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભરતી પ્રક્રિયા અત્યંત પારદર્શક બનતા પ્રતિભાશાળી યુવાનો પોતાની મહેનતથી સરકારી સેવામાં જોડાયા છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ અને પશુપાલન વિભાગમાં કામ કરવું એ માત્ર નોકરી નથી, પરંતુ અન્નદાતા ખેડૂતો અને મૂંગા પશુઓની સેવા કરવાની એક ઉત્તમ તક છે.
વાઘાણીએ નવા અધિકારીઓને પીએમ નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત-૨૦૪૭’ના વિઝનમાં સહભાગી થવા અને ૧૦ થી ૫ ની નોકરીની માનસિકતા છોડી સમર્પણ ભાવથી જનકલ્યાણના કામોમાં જોડાવા આહવાન કર્યું હતું. તેમણે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે તે સુનિશ્ચિત કરવા અને પશુધનની સેવામાં નિષ્ઠા દાખવવા શીખ આપી હતી.