World

ભારત-કેનેડા વિવાદમાં અમેરિકા વચ્ચે પડ્યું, ભારત પર લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનું નિવેદન પણ આવ્યું છે. અમેરિકાએ ભારત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે મંગળવારે કહ્યું ભારત પર લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર કેનેડા સાથે મળીને તપાસમાં મદદ કરે. ભારતે આજ સુધી આવું કર્યું નથી.

આ પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારના અધિકારીઓ સામેલ હતા. આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાએ ભારત અને કેનેડા વચ્ચેના તણાવ પર ટિપ્પણી કરી હોય.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના પીએમ ટ્રુડોએ સંસદમાં ભારત પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે પણ અમેરિકાએ ભારતને તપાસમાં સહયોગ કરવા કહ્યું હતું.

નોંધનીય છે કે, પાછલા ત્રણ દિવસમાં ભારત અને કેનેડા વચ્ચે સ્થિતિ વણસી છે. ગઈ તા. 13 ઓક્ટોબરના રોજ કેનેડાએ ભારતને એક પત્ર મોકલ્યો ત્યારથી વિવાદ શરૂ થયો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓ એક કેસમાં શંકાસ્પદ છે. કેનેડાએ આ કેસની વિગતો આપી નથી, પરંતુ તે નિજ્જર કેસ સાથે જોડાયેલા છે.

ત્યાર બાદ 14 ઓક્ટોબરે ભારતે તેના રાજદ્વારીઓને શંકાસ્પદ ગણાવવા સામે વિરોધ કર્યો અને થોડા કલાકો પછી ભારતે સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા હતા. મોડી રાત્રે સમાચાર આવ્યા કે કેનેડાએ પણ ભારતમાંથી તેના 6 રાજદૂતોને પરત ફરવાનો આદેશ આપ્યો હતો. 15 ઓક્ટોબરે કેનેડાના વડા પ્રધાને નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સીધી સંડોવણીનો આરોપ મૂક્યો.

અમિત શાહના ઈશારે ખાલિસ્તાનીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ
વોશિંગ્ટન પોસ્ટે કેનેડાના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીઓ કેનેડા જવાની પરવાનગીના બદલામાં ગુપ્ત માહિતી આપવા માટે ઘણા લોકોને દબાણ કરતા હતા. આ કાર્યનું નેતૃત્વ કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય વર્માએ કર્યું હતું. રિપોર્ટ અનુસાર ગઈ તા. 12 ઓક્ટોબરે કેનેડાના NSAએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ આ અંગેની એક બેઠકમાં જાણ કરી હતી.

કેનેડિયન પોલીસે જણાવ્યું કે, ભારતીય એજન્ટોએ સોમવારે કેનેડાના પોલીસ કમિશનર માઈક ડુહેમે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ અને અધિકારીઓએ પોતાના પદનો દુરુપયોગ કર્યો છે અને ગુપ્ત રીતે ભારત સરકાર માટે માહિતી એકઠી કરી છે.

આ માટે ભારતીય અધિકારીઓએ એજન્ટોનો ઉપયોગ કર્યો હતો. આમાંના કેટલાક એજન્ટોને ભારત સરકાર સાથે કામ કરવા માટે ધમકી આપવામાં આવી હતી અને દબાણ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે ભારત દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ દક્ષિણ એશિયાના લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. અમે ભારત સરકારના અધિકારીઓને આના પુરાવા આપ્યા હતા અને તેમને હિંસા રોકવા અને સહયોગ કરવાની અપીલ કરી હતી.

Most Popular

To Top