આજે બુધવારે રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં એક લશ્કરી વિમાન ક્રેશ થયું હતું. ઘટનાસ્થળેથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘટના બાદ તરત જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી. ગ્રામજનો પાસેથી મળેલી માહિતી મુજબ, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
ક્રેશ થયેલું વિમાન ભારતીય વાયુસેનાનું જગુઆર હોવાનું કહેવાય છે. હાલમાં વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. સેના અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અકસ્માતના સમાચાર ફેલાતા જ રતનગઢમાં હંગામો મચી ગયો હતો.
કલેક્ટર અભિષેક સુરાણા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. સેનાની બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચવાની છે, જેથી સ્થળને સીલ કરી શકાય અને તપાસ શરૂ કરી શકાય.
ગામલોકોએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી હતી. ગ્રામજનોએ જાતે જ તેને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના વિગતવાર કારણોની પુષ્ટિ સેના દ્વારા કરવામાં આવશે. એવું કહેવાય છે કે વિમાન ઝાડ પર પડ્યું હતું. જેના કારણે ઝાડ પણ સંપૂર્ણપણે બળી ગયું હતું. વિમાન જ્યાં ક્રેશ થયું તે સ્થળ રણ વિસ્તાર છે.
ચુરુના એસપી જય યાદવે જણાવ્યું હતું કે સેનાનું વિમાન ક્રેશ થયું છે. વિમાન ઝાડ પર પડ્યું છે. જેના કારણે ઝાડ પણ બળી ગયું છે. ઘટનાસ્થળેથી 2 મૃતદેહ મળી આવ્યા છે. સેનાની ટીમ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં સેનાની ટીમ વિમાનનો કાટમાળ એકઠો કરવાનું કામ કરી રહી છે.