Gujarat

અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા: સોનાની સાવરણીથી સફાઈ કરી મુખ્યમંત્રીએ ભગવાનનો રથ ખેંચ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું.

  • અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની છે: મુખ્યમંત્રી
  • મુખ્યમંત્રીએ સૌ કચ્છી માડુઓને કચ્છી નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રીશ્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.

ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભાબેન જૈન પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે, તેવી પ્રાર્થના પણ ભગવાન સમક્ષ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ અષાઢી બીજ નિમિત્તે દેશવિદેશમાં વસતાં સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી, સ્થાનિક ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અન્ય મહાનુભાવો તેમજ શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top