Dakshin Gujarat

કોસંબા પાસે રાજકોટ LCBની ટીમને અકસ્માત: એક જવાનનું મોત

અંકલેશ્વર, હથોડા: અંકલેશ્વરથી સુરત વચ્ચેના હાઇવે ઉપર કોસંબા નજીક આરોપીને લઇને રાજકોટ જઈ રહેલી રાજકોટ જિલ્લા એલસીબી પોલીસ ટીમને અકસ્માત નડ્યો હતો, જેમાં આઇસર ટેમ્પોએ પાછળથી ટક્કર મારતા કાર આગળ ચાલી રહેલી ટ્રકમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વર નજીક હાઇવે સ્થિત કોસંબાના નાના બોરસરા ગામ પાસે વહેલી સવારે રાજકોટ એલસીબીની ટીમના ચાર જવાન સુરતના હજીરા ખાતેથી બ્લેક ક્રેટા કારમાં પેરોલ જમ્પ આરોપીને લઇને જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પુરઝડપે આવી રહેલા આઇસર ટેમ્પોએ ક્રેટાને ટક્કર મારી હતી. કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર સીધી આગળ જઈ રહેલી ટ્રકમાં ઘુસી ગઈ હતી, જેથી કારના આગળ પાછળથી ફૂરચા ઊડી ગયા હતા. કારમાં સવાર ચાર પોલીસકર્મી અને એક આરોપી કાર નીચે દબાઈ ગયા હતા.

આ બનાવને પગલે સ્થળ પર દોડી ગયેલા હાજર લોકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. જો કે, ગંભીર ઈજાઓના કારણે દિગ્વિજયસિંહ રાઠોડ નામના પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં પોલીસકર્મીનું મોત થતા પોલીસ બેડામાં શોક પ્રસરી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પોલીસકર્મીઓ નામ ઘનશ્યામસિંહ મહિપતસિંહ જાડેજા, દિવ્યેશ દેવાયતભાઈ સુવા, અરવિંદસિંહ દાનુભા જાડેજા તેમજ આરોપી વિજય ઉર્ફે વાજો કાનજી પરમારને ગંભીર ઈજાઓ બાદ અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Most Popular

To Top