Vadodara

છ સંતાનોની માતા 14 વર્ષીય બાળપ્રેમી સાથે ફરાર

સુખસર: કહેવાય છે કે,’પ્રેમ આંધળો છે,પ્રેમને નાત,જાત કે ઉંમરનો બાધ નડતો નથી’ આ ઉક્તિને સાર્થક ઠેરવતો કિસ્સો ફતેપુરા તાલુકામાં બે અલગ-અલગ ગામના પ્રેમલા-પ્રેમલીના વિચિત્ર કહી શકાય તેવા પ્રેમ પ્રકરણે પરિવાર, સમાજ અને સ્થાનિક લોકોને વિચાર કરતા કરી દીધા છે.જ્યારે સગીર કિશોરના પિતાએ મહિલા પાસેથી સગીરનો કબજો લઇ પોતાના પુત્રને પરત સોંપવામાં આવે તે બાબતે પોલીસમાં લેખિત જાણ કરી હોવાનું જાણવા મળે છે.

ફતેપુરા તાલુકામાં સગીર કિશોરીઓના પત્ની તરીકે રાખવાના ઇરાદાથી અપહરણ તથા પત્ની અને પતિ હયાત હોવા છતાં ઘર સંસારી પુખ્ત ઉંમરના કહેવાતા પ્રેમીઓ ભાગી છૂટવાના અનેક બનાવો બનતા રહે છે.જેમાંથી કેટલાક કિસ્સા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હોય છે. જે પૈકી ગણ્યાગાંઠ્યા કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.જ્યારે મોટાભાગના કિસ્સાઓનુ સમાધાન થઇ જતાં પ્રકાશમાં આવતા નથી.અને સગીરાઓ તથા કેટલીક ઘર સંસારી મહિલાઓના અપહરણનાં બનતા કિસ્સા એક સામાન્ય બાબત બની ચૂકી છે.

પરંતુ અત્રે પ્રસ્તુત કિસ્સામાં તો તમામ સરહદ વટાવી ચૂકેલી ફતેપુરા તાલુકાના એક ગામડાની 35 થી 40 વર્ષીય પરણિત મહિલાએ પોતાના ગામથી 13 કિલોમીટર દૂરના અંતરે આવેલ ફતેપુરા તાલુકાનાજ એક ગામડાના 14 વર્ષીય સગીર બાળ કિશોર જે ચાલુ વર્ષે ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો. તેમજ આ બાળ કિશોર પોતાની માતા પિતા સાથે ગાંધીનગર બાજુ મજુરી કામે જતો હોય ત્યાં આ મહિલા સાથે પરિચય થયો હતો.અને આ પરિચયનો મહિલાએ ભરપૂર ગેરલાભ ઉઠાવી સગીર બાળ કિશોર ઉપર મોહી પડી.

અને પતિ તરીકે પોતાની પાસે રાખવાના ઈરાદાથી ગત 15 દિવસ અગાઉ સુખસર ગામમાંથી સમજાવી-પટાવી બાળ કિશોરને લઈ ભાગી છૂટી.જ્યારે સગીર પુત્ર સુખસરથી મોડા સુધી ઘરે પરત નહીં ફરતા બાળ કિશોરના પરિવારે બાળ કિશોરની શોધખોળ ચાલુ કરી.અને શોધખોળ કરતા દસથી બાર દિવસ નીકળી ગયા.ત્યારબાદ આ બાળકિશોર તથા બાળકિશોર સાથે પ્રેમાંધ બનેલી છ સંતાનોની માતા ગાંધીનગર બાજુ મજૂરીકામ કરતા હોવાની બાળ કિશોરના પરિવારને જાણ થતાં આ બંનેને સમજાવી-પટાવી આ સંબંધ સામાજિક અને કાયદાકીય રીતે યોગ્ય ન હોવાનું જણાવી પરત એસ.ટી બસ દ્વારા ઘરે લાવવામાં આવી રહ્યા હતા.

અને આ બાળકિશોર તથા મહિલાને સંતરામપુર બસ સ્ટેશનમાં ઉતારવામાં આવ્યા.જ્યાં મહિલાએ બાળ કિશોરના માતા-પિતાને જણાવ્યું કે,તમો મને મૂકવા આવશો તો મારા પિયર વાળા તમારા પાસેથી દંડ વસુલ કરશે.માટે તમો મને મૂકવા આવશો નહીં.હું મારી રીતે જતી રહીશ.તેમ જણાવી વિશ્વાસમાં લીધા બાદ કિશોરના માતા-પિતા થોડા આઘાપાછા થતા મહિલાએ ચાલાકી વાપરી સંતરામપુર બસ સ્ટેશનમાંથી ફરીથી બાળ કિશોરને લઈ તેના પિયર રાજસ્થાનના સજ્જનગઢ તાલુકાના એક ગામડામાં તેના પિતાના ઘરે લઇ ભાગી ગયેલ.અને હાલ પંદર દિવસ ઉપરાંતથી આ બાળ કિશોર પ્રેમમાં અંધ મહિલાના પિતાના ઘરે હોવાનું જાણવા મળે છે.

બાળ કિશોરનું એક પ્રકારે અપહરણ કરી જનાર મહિલાના પતિ સહિત છ સંતાનો હયાત છે.છતાં પણ પુત્ર સમાન ઉંમરના સગીર બાળ કિશોરને પોતાની પાસે પતિ તરીકે રાખવાના ઈરાદાથી અપહરણ કરી જનાર મહિલાના સાસરી પક્ષવાળાઓએ બાળ કિશોરના ગામે જઈ નિકાલ કરી લઈએ તેમ જણાવી રહ્યા છે.જ્યારે મહિલાના પિતા બાળ કિશોરના પિતાને તમો આવી તમારા છોકરાને લઈ જાઓ તેમ મોબાઈલથી જણાવતા હોવાનું બાળ કિશોરના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ લેખિતમાં જાણ કરી હોવાનું જાણવા મળે છે.જ્યારે પોલીસ દ્વારા સોમવારે જે-તે કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું સગીર બાળ કિશોરના પિતા દ્વારા જાણવા મળે છે.આ સંબંધ સામાજિક અને કાયદાકીય રીતે યોગ્ય નથી.ત્યારે સમાજ અને કાયદો કોના સામે શું પગલા ભરે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top