SURAT

ઓલપાડ એરથાણના હળપતિવાસમાં મકાન ધરાશાયી થતાં છ દબાયા, બાળકીનું મોત

ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં બુધવારે રાત્રે હળપતિવાસમાં એક મકાન ધરાશાયી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. કાટમાળની નીચે પરિવારના છ સભ્ય દબાતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓલપાડના એરથાણ ગામમાં બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ હળપતિવાસમાં એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાનની નીચે પરિવારના 6 સભ્ય દબાયા હતા.

ઘટનાને પગલે ગામના લોકો દોડી આવ્યા હતા. અને દબાયેલા લોકોને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી. આ અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ 108 પહોંચે એ પહેલાં જ લોકોએ ત્રણ જણાને બહાર કાઢી સાયણની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં બે વર્ષની બાળકી પાયલનું મોત નીપજ્યું હતું. બાદ 108 અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેથી કાટમાળ ખસેડી દબાયેલા લોકોને બચાવી શકાય. આ ઘટનામાં પરિવારના પરેશભાઈ રાઠોડ, સુનીતાબેન રાઠોડ, પવન, પાયલ, ગણપતભાઈ અને કમુબેનને ઇજા થઈ હતી. જેમાંથી પરેશભાઈ, સુનીતા અને પવનને હોસ્પિટલ ખસેડાયાં હતાં.

બાળકને મોંમાં હવા આપી બચાવી લેવાયો
ગામના એક યુવાન તુષારભાઈએ પવન નામના આશરે ત્રણેક વર્ષના બાળકને સમયસૂચકતા વાપરી બચાવી લીધો હતો. બાળકને બહાર કાઢતાં શરૂઆતમાં તેના ધબકારા ધીમે ચાલતા હતા. બાળકને બચાવવા તાત્કાલિક સારવાર આપવી જરૂરી હતી. બાળકને મોંથી શ્વાસ આપી પોતાની કારમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને બાળકનો જીવ જે-તે સમયે બચી જતાં સ્મીમેરમાં દાખલ કરાયો હતો.

Most Popular

To Top