SURAT

સુરતમાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ: સાસરિયાંના ત્રાસથી કંટાળી 22 વર્ષની પરિણીતાનો આપઘાત

સુરત(Surat) : નાની ઉંમરે પ્રેમ લગ્ન (LoveMarriage) કરનાર યુવતીનો કરૂણ અંજામ આવ્યો છે. લગ્નજીવનના ચાર વર્ષ બાદ માત્ર 22 વર્ષની નાની ઉંમરમાં યુવતીએ પંખા પર લટકીને જીવન ટુંકાવી દીધું છે. સાસરિયાંઓના ત્રાસથી કંટાળી આપઘાત (Sucide) કર્યો હોવાનો પિયરીયાંઓ તરફથી આક્ષેપ કરાયો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણમાં રહેતી 22 વર્ષીય પરિણીતા નેહા હરેશ રોહિતે સોમવારે રાત્રે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિણીતાના પતિએ તેની માતાને આ બનાવ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ પરિણીતાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વધુમાં મળતી માહિતી અનુસાર નેહા અને હરેશના પ્રેમલગ્ન ચાર વર્ષ પૂર્વે પરિવારની સંમતિથી થયા હતા. દાંપત્યજીવનમાં બંનેને એક દીકરી હતી. હરેશ ઓનલાઈન ગારમેન્ટ સેલિંગનો વ્યવસાય કરે છે.

નેહાના પિયરીયાંઓએ આક્ષેપ કર્યો કે, છેલ્લાં 2 વર્ષથી સાસરીયાં નેહાને ત્રાસ આપી રહ્યાં હતાં. સાસુ-દિયર મ્હેણાંટોણાં મારતા હતા, જેના લીધે નેહા કંટાળી ગઈ હતી. બે દિવસ પહેલાં દીકરી-જમાઈ ઘરે આવ્યા હતા. નેહા પરત સાસરે જવા માંગતી ન હતી, પરંતુ જમાઈ તેને સમજાવીને લઈ ગયા હતા અને આજે આ સમાચાર મળ્યા.

મૃતક નેહાની માતાએ કહ્યું કે, બે વર્ષથી સાસુ અને દિયર ખૂબ દુ:ખ આપતા હતા. જમાઈ પણ એલફેલ બોલતો હતો. વહેલી ઉઠતી નથી, કામ કરતી નથી તેવા મ્હેણાંટોણાં મારતા હતા. બે દિવસ પહેલાં ઘરે આવી હતી. સાસરે પાછી જવા માંગતી ન હતી, પરંતુ જમાઈ બળજબરીથી લઈ ગયો. દીકરીના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top