SURAT

શ્રાવણ મહિનાનું 10 દિવસનું વેકેશન રત્નકલાકારોની હાલત વધુ કફોડી બનાવશે, યુનિયને કરી આ માંગણી

સુરતઃ હીરાઉદ્યોગમાં હાલ ભારે મંદીના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે જો સાતમ આઠમનું 10 દિવસનું વેકેશન રાખવામાં આવશે તો રત્નકલાકારોનું ગુજરાન કેવી રીતે ચલાવશે એ યજ્ઞ પ્રશ્ન ઉભો થયો છે.

  • ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને લેબર કમિશનનરે આવેદન પત્ર આપ્યું
  • રત્નકલાકારોને વેકેશન પગાર સહિતના લાભો આપવા કાર્યવાહી માટે માંગણી કરાઈ

આ સ્થિતિમા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ડેપ્યુટી લેબર કમિશનર અને સંયુક્ત નિયામક ઓધોગિક સલામતિ અને સ્વાસ્થ્ય વિભાગ ને આવેદન પત્ર પાઠવી જે કંપની વેકેશન પાડે તે કંપનીના રત્નકલાકારોને વેકેશન પગાર આપવામા આવે એવી માંગણી કરી છે અને જે કંપની પગારથી વંચિત રાખે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

રત્નકલાકારોને તબક્કાવાર નોકરીમાંથી છૂટા કરાઈ રહ્યાં છે
હીરાઉદ્યોગની ઘણી કંપનીઓમાં આયોનપૂર્વક છૂટક છૂટક 25 થી 50 કારીગરોને છુટા કરવામાં આવી રહ્યાં છે જેથી કારીગરોની સાચી માહિતી પ્રગટ ના થઈ જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને જે રત્નકલાકારોને છૂટા કરવામાં આવે છે તેમને મજુર કાયદા હેઠળના બોનસ પગારના લાભો પણ આપવામાં આવતા નથી.

વેકેશનની આડમાં હીરાના કારખાના બંધ થવા લાગ્યા
હીરાઉદ્યોગના ઘણા નાના મોટા કારખાના વેકેશનની આડમા બંધ થઈ રહ્યા છે ત્યારે તેવા કારખાનામાં કામ કરતા રત્નકલાકારો પણ બેરોજગાર બની રહ્યા છે અને તે કારખાના વેકેશન પછી પણ ખુલવાની શક્યતા નથી ત્યારે લેબર વિભાગ દ્વારા સ્કવોડ બનાવી તપાસ કરવામાં આવે અને કામદારોને વેકેશન પગાર તથા બોનસ પગારના લાભોથી વંચિત રાખવામાં આવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.

સુરતમાં 16 મહિનામાં 65 રત્નકલાકારોના આપઘાત
હાલ હીરાઉદ્યોગમાં ભારે મંદી છે જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને છેલ્લાં 16 મહિનામાં અંદાજે 65 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રત્નકલાકારોને આપઘાત કરતા રોકવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં સતત રત્નકલાકારો આર્થિક સહયોગ માંગી રહ્યા છે, ત્યારે જો હીરાઉદ્યોગમાં 10 દિવસનું વેકેશન પડશે તો હજી રત્નકલાકારોની પરિસ્થિતિ ખરાબ થાય એવી શક્યતા છે.

Most Popular

To Top