Gujarat

ગુજરાતનાં 3.50 લાખ ટ્રસ્ટોના માથેથી ઘાત ટળી

સુરત: (Surat) તાજેતરમાં ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટ (Trust) રદ કરવા અંગે જોગવાઇ કરવામાં આવી છે અને તે બાબતે દરેક સંસ્થાઓ પાસેથી માહિતી માગવામાં આવી છે તેને લઇને ઘણો મોટો ગુચવાડો ઊભો થયો હતો. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 3.50 લાખથી વધુ ટ્રસ્ટો, સંસ્થાઓ, એનજીઓ, ચેરીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રર (Register) થયા છે ઘણા ટ્રસ્ટો એવા છે જે 1952થી નોંધાયેલા છે. આવા ટ્રસ્ટોની ટ્રસ્ટડીડ અને બંધારણની અસલ નકલ પણ કુદરતી આફતો અથવા અન્ય કારણોસર મળતી નથી પરંતુ આવા ટ્રસ્ટોનું નિયમિત ઓડિટ અને રીટર્ન ભરાઇ રહ્યું છે તેને માન્ય રાખવાનું નક્કી કરાયું છે.

ચેમ્બરના અગ્રણી અને ટ્રસ્ટને લગતી કામગીરીના નિષ્ણાંત ધીરેન એમ. થરનારીને આ અંગે કેટલાક ટ્રસ્ટો દ્વારા ફરિયાદ મળતા તેમણે તા. 19-5-2021ના રોજ રાજ્યના મુખ્ય ચેરીટી કમિશ્નર વાય.એમ. શુકલને નવ મુદ્દાનો પત્ર લખી ભારત સરકારમાં ફાયનાન્સ એક્ટ 2020ની જોગવાઇ મુજબ ચેરીટેબલ ટ્રસ્ટોને લગતા ઇન્કમટેક્સના 12AA/12AB/80Gમાં આવેલા સુધારા અંગે સ્પષ્ટતા કરવા રજૂઆત કરી હતી. ચેરીટી કમિશ્નર સમક્ષ આ મામલો સામે આવેતા તેમણે 5માં દિવસે જ રાજ્યના તમામ સંયુકત, નાયક અને મદદનીશ ચેરિટી કમિશ્નર જોગ હુકમ કર્યો હતો કે ચેરિટી તંત્ર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950ની જોગવાઇ હેઠળ સાર્વજનિક ટ્રસ્ટોની નોંધણી કરવામાં આવે છે. આવા ટ્રસ્ટો દ્વારા પોતાનું બંધારણ અને ટ્રસ્ટડીડ તૈયાર કરી રજિસ્ટ્રેશન માટે રજૂ થયા પછી તેની ચકાસણી કરી નોંધણી કરવામાં આવતી હોય છે. ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટ રદ કરવા અંગે જોગવાઇ કરવામાં આવી છે કે કેમ તે બાબતે દરેક સંસ્થાઓ પાસે માહિતી માંગવામાં આવી છે પરંતુ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950 હેઠળ ટ્રસ્ટ રદ કરવા અંગે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી.

વર્ષો જુના અનેક ટ્રસ્ટો પાસે બંધારણ/ટ્રસ્ટડીડ જ નથી આવી સ્થિતિમાં 12AA અને 80Gનું રજિસ્ટ્રેશન રદ થાય તો ટ્રસ્ટોના માથે મોટી જવાબદારી આવતે

ધીરેન થરનારીએ એવી સ્પષ્ટતા માંગી હતી કે અગાઉથી જે ટ્રસ્ટો નોંધાયેલા હોય તેમણે નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આવકવેરા વિભાગે મુદ્દા નંબર-6માં ટ્રસ્ટ ઇરિવોકેબલ છે કે નહીં તેની માહિતી ફોર્મ નંબર-10એમાં હા કે ના માં માંગી છે. ટ્રસ્ટડીડ કે બંધારણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેમ તેવી માહિતી પણ માંગી છે. જો મુદ્દા નંબર-6માં હા લખવામાં આવે તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ અંગેના પુરાવા એટલે કે ટ્રસ્ટ દીઠ અને બંધારણ કયા લખેલુ છે એ માગશે અને જો ના લખવામાં આવે તો 12AA અને 80Gનું રજિસ્ટ્રેશન રદ કરી દેશે એવી શંકા છે. દક્ષિણ ગુજરાતમાં વર્ષો જુના ઘણા ટ્રસ્ટો છે જેના હાલ બંધારણ અને ટ્રસ્ટડીડ જ નથી જે ટ્રસ્ટોના બંધારણ/ટ્રસ્ટડીડ છે એમાના કેટલાક બંધારણ/ટ્રસ્ટડીડમાં ઇરિવોકેબલ છે એવી સ્પષ્ટતા નથી. જુના ટ્રસ્ટોમાં બંનેનું રજિસ્ટ્રેશન છે એવા ટ્રસ્ટો જો 12AAનું રજિસ્ટ્રેશન રદ થઇ જાય તો ટ્રસ્ટોના માથે બહુ મોટી જવાબદારી આવી પડશે. જો આવા ટ્રસ્ટોનું 80Gનું રજિસ્ટ્રેશન રદ થઇ જાય તો તેમને મળતી સહાય પણ બંધ થઇ જવાનો ભય રહે છે. થરનારીએ જણાવ્યું હતું કે રાજ્યના ચીફ ચેરીટી કમિશ્નરની સ્પષ્ટતા પછી 3.50 લાખ ટ્રસ્ટોના માથેથી લટકતી તલવાર દુર થઇ છે.

Most Popular

To Top