SURAT

કોરોનામાં મોતનું એવું તાંડવ મચ્યું કે સુરતમાં શબવાહિનીના કોલ અઢી ગણાં થઈ ગયાં!

સુરત : શહેરમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક નીવડી રહી છે. કોરોનાનો કહેર ખુબ આક્રમક રીતે વધી રહ્યો છે. જેની સામે મોતની સંખ્યામાં પણ ઘટવાનું નામ લેતી નથી. કેસની સંખ્યાની સાથે સાથે મૃ્ત્યુ આંક પણ ચિંતાજનક હદે વધી રહ્યો છે. તંત્ર કેસના અને મોતના આંકડા છુપાવી રહ્યું છે.

પરંતુ સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલથી મૃતદેહોના થઇ રહેલા અંતિમ સંસ્કાર તંત્રના જુઠ્ઠાણાની ચાડી ખાય છે. ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં ગત માર્ચ મહિનામાં શબવાહિની માટે પ્રતિદિન 55 થી 60 કોલ મળતા હતા, તે એપ્રિલ માસમાં બે ગણાંથી પણ વધી જવા પામ્યા છે.

સુરતમાં છેલ્લા 10 દિવસમાં 100થી લઇને 142 સુધી કોલ મળ્યા છે. આ આંક નોનકોવિડ મૃતકના આંક છે તે પણ ફક્ત ફાયર વિભાગના કંટ્રોલને મળેલા કોલ આધારિત છે. એટલી ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે કે શબવાહિની પણ શહેરમાં અછત ઉભી થઇ છે. આ સિવાય અન્ય સામાજિક સંસ્થાઓનો શબ રથો પર કેટલાક મૃતદેહ સ્મશાને પહોંચે છે. તેનો આંક પણ હાલમાં ઉચો છે.

હાલમાં શહેરમાં એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે શબવાહિની માટે પણ બેથી ત્રણ કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. તો ક્યાંક મૃતદેહને સ્મશાન સુધી લઇ જવા પ્રાઇવેટ વાહનો, લારી કે ટેમ્પામાં નાખીને લઇ જવાની નોબત પડી રહી છે. આમ ફાયર કંટ્રોલના આંક પરથી જાણી શકાય કે હાલમાં મૃતકોની સંખ્યા દિનપ્રતિદિન કેટલી વધી રહી છે.

Most Popular

To Top