સારસ્વતી નગરીમાં બે યુવક બેકાર હતા. કોઈ કામ ધંધો મળતો ન હતો અને કુસંગમાં પડીને બંને યુવકો ખિસ્સાકાતરુ અને ઠગ બની પૈસા કમાવા લાગ્યા. જ્યાં ઘણાં બધાં લોકો ભેગાં થયાં હોય તેવાં સ્થળે, મંદિર, કથા, મેળા વગેરે સ્થળોએ તેઓ જતાં અને ગિરદીનો લાભ લઈને હાથ સાફ કરી લેતા. કોઈ દુઃખી મુશ્કેલીમાં દેખાય તો તેને મંત્ર તંત્રની વિદ્યાથી સુખી બનાવવાનું આશ્વાસન આપીને ઠગી પણ લેતા. એક દિવસ તેમણે જોયું કે ઘણાં લોકો ભગવાન બુદ્ધના સત્સંગ પ્રવચનમાં જઈ રહ્યાં છે. મોકાનો લાભ ઉઠાવવા બંને ઠગ યુવકો ત્યાં ગયા. તેમણે વિચાર્યું, આજે તો હાથ સાફ કરી ઘણા પૈસા મેળવી લઈશું. પ્રવચન શરૂ થયું. ભગવાન બુદ્ધ પોતાની નિર્મળ વાણીમાં બોલવા લાગ્યા. સાચા જીવનની સમજ આપવા લાગ્યા. બે ઠગ યુવકોમાંથી એક પર ભગવાન બુદ્ધની મધુર વાણીની અદભુત અસર થઈ. ભગવાન બુદ્ધના ઉપદેશથી આકર્ષાઈને તે ઉપદેશ અને સત્સંગમાં રત થઈ ગયો.
ચોરી કરવા ખિસ્સા કાપવા આવ્યો છે, તે ભૂલી ગયો અને ચૂપચાપ ઉપદેશ સાંભળતો રહ્યો. બીજી બાજુ બીજા યુવકે ઘણા શ્રોતાઓના ખિસ્સા પર હાથ સાફ કરી લીધો. પ્રવચન પૂરું થયું. પાછા ફરતી વખતે ખિસ્સા કાતરનાર યુવકે, ઉપદેશમાં ખિસ્સા કાતરવાનું ભૂલી જનાર સાથીને પૂછ્યું, ‘ તેં કેટલા ખિસ્સાં કાપ્યાં અને તને શું મળ્યું? પેલા યુવકે કહ્યું, ‘ ઉપદેશ ભગવાન બુદ્ધની વાણી સાંભળ્યા બાદ મેં કોઈનું ખિસ્સું કાપ્યું જ નથી.’ આવો જવાબ સાંભળી પહેલો ઠગ સાથી વ્યંગમાં બોલ્યો, ‘માત્ર એક દિવસ ઉપદેશ સાંભળીને તું તો ચોરમાંથી ધર્માત્મા થઈ ગયો ને… તારા પરિવારને શું આપીશ? ઉપદેશ ખવડાવીશ? સાથીના વ્યંગની પેલા યુવક પર અસર ન થઈ. તે બુદ્ધના સત્સંગના રંગે રંગાઈ ગયો. રોજ ઉપદેશ સાંભળવા જતો.
એક દિવસ મોકો મળતાં પ્રવચન બાદ તેણે ભગવાન બુદ્ધ પાસે જઈ પોતે ચોર અને ઠગ હોવાની વાત અને તેમના ઉપદેશ બાદ સુધરી જવાની વાત સ્વીકારીને માફી માંગી અને કહ્યું, ‘મારો મિત્ર મને મૂર્ખ કહે છે કે મેં ચોર મિત્રનો સાથ છોડી દીધો. ચોરી છોડી દીધી પણ પરંતુ હવે હું મારા પરિવારના પાલન માટે શું કરું? ભગવાન બુદ્ધે કહ્યું, ‘હાથ ઈશ્વરે આપ્યા છે, તેનો ઉપયોગ કરી મજૂરી કર, સાત્ત્વિક ધન કમાઈને, સાત્ત્વિક જીવન જીવ. તું મૂર્ખ નથી. તેં તારા જીવનને સાચે માર્ગે વાળી દીધું છે. મૂર્ખ તો તારો સાથી છે.’ યુવક મહેનતનું જીવન જીવવા લાગ્યો. સાથી ચોરી કરતાં પકડાયો અને તેને સજા થઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.