SURAT

‘બા નો બંગલો’ તરીકે ઓળખાતી 600 વર્ષ જૂની વણઝારી વાવનો ઈતિહાસ અદ્દભૂત!

સુરતમાં લાલ દરવાજા પાસે આવેલી 600 વર્ષ જૂની ખમ્માવતી વાવનો ઈતિહાસ અદ્દભૂત છે. મુઘલકાળમાં 15મી સદીમાં બનેલી નંદા શૈલીની સાત કોઠાની આ વાવ ‘બા નો બંગલો’ કે ‘વણઝારી વાવ’ તરીકે પણ ઓળખાય છે. આ વાવ રેતી-પથ્થર અને મોટી ઈંટોથી બનાવાય છે. જોકે હાલ તે જર્જરિત છે.

સૂર્યપુત્રી તાપી નદીના તટે વસેલું સુરત શહેર એક જમાનામાં ભારતનું પહેલા દરજ્જાનું સમૃદ્ધ શહેર તેમજ ભારતના પશ્ચિમકાંઠાનું અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. સુરતમાં ચોર્યાસી બંદરોના વાવટા ફરકતાં હતાં. તેની સમૃદ્ધિ, રૂઆબ અને રોનક પરદેશી પ્રવાસીઓને આકર્ષતા સુરત સ્વપ્નશીલો સહેલાણીઓ સુધારકો અને સંસ્કૃતિપ્રેમીઓનું નગર છે.

અહીં રેલવે સ્ટેશન વિસ્તારના લાલદરવાજાની કિલ્લા શેઠની વાડીમાં આવેલી નંદા શૈલીની સાત કોઠાની ખમ્માવતી વાવ હજુ ઉભી છે, જે આજે પણ પ્રાચીન સમયના ગૌરવપૂર્ણ ઈતિહાસ અને વારસાની સાક્ષી પૂરે છે.

લાલદરવાજા પાસે છોવાળાની શેરીમાં પંદરમી સદીમાં ગુજરાતમાં મુઘલોના રાજમાં બંધાયેલી આશરે 600 વર્ષ જૂની 7 કોઠાની ખમ્માવતી વાવ મધ્યકાલીન મુઘલ સમયની નંદા શૈલીના બાંધકામનું પૂર્ણ પ્રતીક છે. આ વાવ વણઝારી વાવ ઉપરાંત બાનો બંગલો તરીકે પણ ઓળખાય છે

લાલ દરવાજા વિસ્તારની કિલ્લા શેઠની વાડીમાં આ વાવ આવેલી છે. તે ઉત્તરથી દક્ષિણ દિશામાં નંદા શૈલીમાં બની છે. 7 કોઠા, 100 પગથિયાં, 20 ફૂટ પહોળી અને 300 ફૂટ લાંબી છે આ વાવ. વણઝારાઓએ વાવનું નિર્માણ કર્યું હતું. દુષ્કાળના સમયમાં પાણી મળી રહે તે માટે જ આ પ્રકારના વિશેષ પગથિયાંવાળા કૂવાઓનું નિર્માણ કરવામાં આવતું હતું.

વાવનો કૂવા તરફનો ભાગ કોટ કિલ્લાની દીવાલની નજીક હતો અગાઉ જ્યારે ટ્રાન્સપોર્ટરેશનના સાધનો પૂરતાં ન હતા ત્યારે વણઝારાઓના બળદો એક સ્થળેથી બીજા સ્થળે ચીજ-વસ્તુઓ લઈ જવા માટે ઉપયોગી થતાં હતાં. વણઝારો એટલે એક સ્થળેથી બીજા સ્થળે ચીજવસ્તુઓ પહોચાડનાર, એક લાખ બળદોનો માલિક, લાખો વણઝારો ફકત માલ પહોચાડનાર નહી પણ વેપારી પણ હતો. વણઝારાઓ છતવાળા વિસ્તારોમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓ ભરીને અછતવાળા વિસ્તારોમાં પહોંચાડતાં હતા વણઝારાઓના બળદો દેશના ખૂણેખૂણે ફરતા.

આ વાવ એક સમયે સુરતની શાન હતી, પરંતુ હાલ મોટાભાગનો ભાગ તૂટી ગયો છે અને કૂવામાં ગંદકી જોવા મળે છે, તેમ છતાં તે ઐતિહાસિક વારસાની સાક્ષી છે.

લાખા વણઝારાએ વાવનું નિર્માણ કરાવ્યું હોવાની માન્યતા
એક માન્યતા પ્રમાણે ભારતમાં વર્ષો પહેલા રાજા ભર્તૃહરિ વીર વિક્રમ અને લાખો વણઝારો નામક ત્રણ ભાઈઓ હતા. રાજા ભૃતહરિએ પોતાના જીવનકાળ દરમિયાન સંન્યાસ લીધો હતો વીર વિક્રમ કુશળ રાજયકર્તા તરીકે પ્રખ્યાત હતા અને લાખા પાસે એક લાખ બળદોની વણઝાર હતી. આ કારણોસર લાખો લાખા વણઝારા તરીકે પ્રખ્યાત થયો હતો. લાખો વણઝારો વેપાર અર્થે ગુજરાત મારવાડ અને કાઠિયાવાડ વિસ્તારમાં આવતો હતો, ત્યારે તેને ઘણા દિવસો સુધી એક જ સ્થળે મુકામ કરવો પડતો હતો મુકામ દરમિયાન પાણીની દૈનિક જરૂરિયાત માટે તેઓ જે તે જગ્યાએ લોકો સાથે મળીને વાવનું નિર્માણ કરતા હતા.

લાલ દરવાજા વિસ્તારમાં આવેલી વાવનું નિર્માણ પણ લાખા વણઝારાએ કર્યુ હોવાનું મનાય છે મૂળ સૌરાષ્ટ્રના અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલ શેઠના પૌત્ર જણાવ્યું હતું કે લાલ દરવાજા પાસે કિલ્લા શેઠની વાડી અને છગન શેઠ વાડી તરીકે ઓળખાતો વિસ્તાર છે.

વાવની ફરતે લોકો ગરબો રમતા
લાલ દરવાજા વિસ્તારમાં ખોડિયાર માતાજી સતી માતાજી અને ખમ્માવતી માતાજીની શહેરીજનો ઉપાસના કરે છે. વાવ પાસે ગરબો રમવા લોકો દૂર દૂરથી આવતા હતાં. વર્ષોથી વાવમાં ખમ્માવતી માતાના મંદિર સ્થાપના કરવામાં આવી છે. અહીં ચર્મરોગ ખાંસી ઉધરસ હાડકા સહિતના અનેક રોગોથી પીડાતા દર્દીઓ વાવના પાણીથી સાજા થતા એવી શ્રદ્ધા છે. આજ દિન સુધી વાવમાં ક્યારેય પાણી ખૂટ્યું નથી અને વાવમાં પડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. વર્ષ 2006માં પૂરનું પાણી વાવમાં સમાતા લોકોએ જોયું છે.

વણઝારી વાવના રખેવાળઃ સુરેશભાઈ પટેલ
પેઢીઓથી વાવની દેખરેખ રાખનાર સુરેશભાઈ પટેલે કહ્યું કે, માતાજીના મંદિર પર બિમાર લોકો બાધા લેવા આવે છે. ચામડીના રોગ હોય તે વાવના પાણીમાં ન્હાવા આવતા. સારું થયા બાદ આસ્થા પ્રમાણે પ્રસાદી ધરાવતા હોય છે. અહીં દેશ વિદેશથી લોકો વાવનો અભ્યાસ કરવા આવે છે, પરંતુ આપણી સરકાર જ આવતી નથી. વણઝારી વાવના રિનોવેશન માટે સરકારને અનેકોવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી.

Most Popular

To Top