Vadodara

સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય

મ્યુ કમિશનરની વિઝીટ બાદ તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર; મંદિર પરિસરને છોડી આસપાસના તમામ ભાગનું નવીનીકરણ કરાશે

વડોદરા ​શહેરના મધ્યમાં આવેલા અને વર્ષો જૂની વિરાસત સમાન રાવપુરા વિસ્તારના સૂર્યનારાયણ બાગની કાયાપલટ કરવાની તૈયારીઓ પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા બાગની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને તેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી ભવિષ્યના ડેવલોપમેન્ટ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
લાંબા સમયથી યોગ્ય જાળવણીના અભાવે સૂર્યનારાયણ બાગમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળ્યું હતું. સ્થાનિકોની ફરિયાદો અને બાગની દુર્દશાને ધ્યાને રાખીને કમિશનરે પ્રાથમિક તબક્કે યુદ્ધના ધોરણે સાફ-સફાઈ કરવાના આદેશ આપ્યા છે. ગંદકી દૂર કરી બાગને ફરીથી લોકો માટે સુખદ અનુભવ બને તે રીતે તૈયાર કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરની આ વિઝીટનો મુખ્ય ઉદ્દેશ્ય રાવપુરા જેવા ગીચ વિસ્તારમાં રહેલા આ એકમાત્ર મોટા ગાર્ડનને રિ-ડેવલોપ કરવાનો છે. આગામી દિવસોમાં આ અંગેનો ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરી, બજેટની ફાળવણી સાથે કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા શહેરના હાર્દ સમાન વિસ્તારમાં નાગરિકોને હરવા-ફરવા માટે એક સુંદર અને સ્વચ્છ સ્થળ મળી રહેશે.

મંદિરની ગરિમા જાળવી આસપાસનો વિસ્તાર વિકસાવાશે
​ડેવલોપમેન્ટ પ્લાન અંગે વિગતો આપતા જાણવા મળ્યું છે કે:
*​બાગમાં આવેલા પૌરાણિક મંદિરને યથાવત રાખીને તેની આસપાસના તમામ હિસ્સાને આધુનિક ઢબે વિકસાવવામાં આવશે.
*​બાગમાં નવા વોક-વે, ગ્રીનરી અને બેસવાની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન છે.
*​પરિસરમાં રહેલા બગીચાના ભાગને ફરીથી નવપલ્લવિત કરી વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે.

Most Popular

To Top