National

મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?

જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવકની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે જ્યારે મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે. બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસ નામના એક યુવાનને ટોળાએ માર માર્યો હતો. ત્યારબાદ તેના મૃતદેહને ઝાડ પર લટકાવીને બાળી નાખવામાં આવ્યો હતો. દીપુ પર ઇશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

મોબ લિંચિંગ પર મદનીએ કહ્યું, “તે ખૂબ જ શરમજનક છે. જ્યારે મુસ્લિમો આવા કૃત્યો કરે છે, ત્યારે શરમથી આપણું માથું ઝૂકી જાય છે. આની ગમે તેટલી નિંદા કરો ઓછી છે. સૌ પ્રથમ કોઈપણ સભ્ય સમાજમાં કોઈને પણ બીજા માનવીને મારવાનો અધિકાર હોવો જોઈએ નહીં, ભલે તે ગમે તેટલી ગંભીર ભૂલ હોય. સજા માટે એક પદ્ધતિ છે અને તે પદ્ધતિનું પાલન કરવું જોઈએ.”

ઇસ્લામ હત્યાની પરવાનગી આપતું નથી
મદનીએ આ હત્યાને ઘૃણાસ્પદ ગણાવતા કહ્યું, “જો ગુનેગાર મુસ્લિમ હોય અને પીડિત બિન-મુસ્લિમ હોય, તો ગુનો વધુ ઘૃણાસ્પદ બની જાય છે. અમે તેની સખત નિંદા કરીએ છીએ. ઇસ્લામ કોઈને પણ મારવાની કે અપમાનિત કરવાની પરવાનગી આપતો નથી. ઇસ્લામ કોઈપણ કિંમતે આની મંજૂરી આપતો નથી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે સમગ્ર ઉપખંડમાં ઉગ્રવાદ વધી રહ્યો છે અને તેને રોકવો જ જોઇએ. આ પ્રદેશ અને સમગ્ર વિશ્વમાં તેનો સામનો કરવો જ જોઇએ. વિશ્વ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે જેનો ઉકેલ લાવવો જ જોઇએ.”

અહમદ ઇલ્યાસીએ પણ વિરોધ કર્યો
બાંગ્લાદેશમાં દિપુ ચંદ્ર દાસની મોબ લિંચિંગ પર ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય ઇમામ ડૉ. ઇમામ ઓમર અહેમદ ઇલ્યાસીએ કહ્યું, “માનવતા શરમજનક બની છે. આ માનવતાની હત્યા છે. જે ક્રૂરતાથી બાળકની હત્યા કરવામાં આવી અને તેના મૃત્યુ પછી તેની સાથે જે કરવામાં આવ્યું – તેને ઝાડ પર લટકાવીને – તે સંપૂર્ણપણે ખોટું છે. આ કૃતઘ્ન બાંગ્લાદેશીઓ, જેમને ભારત હંમેશા મદદ કરતું આવ્યું છે તેઓ ભૂલી ગયા છે કે ભારત દરેક રીતે તેમની સાથે ઉભું રહ્યું છે. તે માનવાધિકાર સંગઠનો ક્યાં છે? તેઓ આજે કેમ બોલતા નથી? આ કેવા પ્રકારની ઇસ્લામિક ઉપદેશો છે જે આવી હત્યાઓને મંજૂરી આપે છે? આ લોકો ઇસ્લામના અનુયાયી ન હોઈ શકે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે હસ્તક્ષેપ કરવો જોઈએ.”

Most Popular

To Top