હજીરાની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં મંગળવારે રાત્રે એક એન્જિનિયરનું મોત નિપજ્યું છે. કંપનીની લાપરવાહીના લીધે કામદારનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે મધરાત્રે 12.30 કલાકના અરસામાં કમલેશ ઠાકુર નામના કામદારને અકસ્માત ઈજા પહોંચી હતી. વજનદાર લોખંડનો સ્લેબ કમલેશ પર પડ્યો હતો. કામદાર ઘટનાનો ભોગ બન્યો ત્યાર બાદ લગભગ 2થી 2.30 કલાક સુધી લવલેશ કંપનીમાં કણસતો રહ્યો હતો. તેને સારવાર મળી નહોતી, જેના લીધે તેનું કરૂણ મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
મૂળ બિહારના કમલેશ ઠાકુર 10-12 વર્ષથી હજીરામાં નોકરી કરતા હતા. તેઓને ચાર સંતાનો છે. કમલેશ ઠાકુરના મોતથી પરિવાર નોંધારો બન્યો છે. પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે.