ગયા અઠવાડિયામાં શહેરની ટ્રાફિક સમસ્યાના પાપે એક આશાસ્પદ ડોક્ટર યુવાન દીકરીનું સહરા દરવાજા ઓવરબ્રિજ પરથી ઊતરતી વખતે એકસીડન્ટ થવાથી મૃત્યુ થયું. પોલીસ ચોપડે એક અકસ્માત તરીકે આ ઘટના નોંધાઈ ગઈ. દર બીજા ત્રીજા દિવસે આ શહેરમાં આવી અનેક ઘટનાઓ બનતી રહી છે. દરેક ચાર રસ્તે, નાનામોટા એકસીડન્ટ અને હાથ પગ ભાંગવાના કિસ્સાઓ તો પોલીસ ચોપડે નોંધાતા જ નથી. સરકારી તંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને જનતાની પણ હવે સંવેદનશીલતા મરી પરવારી છે.
જ્યાં સુધી આપણે આપણું પોતાનું સ્વજન ન ગુમાવીએ ત્યાં સુધી આપણને પરિવાર પર આવી પડતું દુઃખ શું છે તે ખબર પડતી નથી. ટુ વ્હીલર વાહનોના થતા અકસ્માતોમાં હેલ્મેટ ન પહેરવું તે એક કારણ હોઈ શકે છે. અન્ય કારણોમાં રસ્તાઓ પરના ખાડાઓ, બમ્પ, અપૂરતી લાઈટની સુવિધા, લારી ગલ્લાઓ દ્વારા થતાં ગેરકાયદે દબાણો, લોડેડ ટ્રકો, ઓવર સ્પીડ વાહનો, ઓવરલોડેડ રીક્ષાઓ, બેફામ ટુ વ્હીલર્સ, રોંગ સાઈડ પર હંકારાતા ફોરવ્હીલરો જેવાં કારણોને દૂર કરવાનું કામ ટ્રાફિક પોલીસના હાથમાં છે. જો તેઓ ધારે તો ચપટી વગાડતામાં આ કામ કરી શકે છે. આ અકસ્માતોને કદાચ સંપૂર્ણપણે બંધ ન કરી શકે પરંતુ તેને ઘણે અંશે નિવારી શકે છે.
સુરત – ડૉ. હેમંત પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.