
ભારતીય બેન્કોમાં વિદેશી રોકાણકારો બિન્દાસ રોકાણ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષના આ ટ્રેન્ડમાં જંગી પ્રમાણમાં વિદેશી મૂડી ભારતીય બેન્કોમાં ઇન્વેસ્ટ થઈ છે. એક અંદાજ પ્રમાણે 15 બિલિયન ડૉલર[આશરે 12 હજાર કરોડ] છેલ્લા એક વર્ષમાં ઇન્વેસ્ટ થયા છે. ઇન્વેસ્ટ કરનારી બેન્કોમાં જે પ્રમુખ કંપનીઓ છે તેમાં દુબઈની ‘એમિરાત NBD’, જાપાનની ‘સુમિતોમો મિત્સુઈ બેન્કિગ કોર્પોરેશન’અમેરિકાની ‘બ્લેકસ્ટોન’અને સ્વિઝર્લેન્ડની ‘જ્યુરિચ ઇન્સ્યોરન્સ’છે. આ તમામ કંપનીઓમાં સૌથી વધુ અમેરિકાની ‘બ્લેકસ્ટોન’કંપનીએ 9.9 ટકાના સ્ટેક સાથે 6,196 કરોડ ફેડરલ બૅન્કમાં ઇન્વેસ્ટ કર્યા છે. હજુ તો એક દાયકા અગાઉ જ ભારતીય બૅન્કોએ ઉદ્યોગપતિઓને આપેલી લોનથી વગોવાઈ હતી. આ લોનની રકમ પાછી ન મળી. ઉપરાંત ‘IL & FS ’અને ‘DHFL’જેવી કંપનીઓ નબળી પડી તે કારણે પણ દેશના આર્થિક તંત્ર પર સવાલ ખડા થયા હતા. જોકે તે પછીના એક દાયકાના ગાળામાં બેન્કિગ વ્યવસ્થામાં ઘણા સુધાર થયા. નીતિનિયમો કડક બન્યા, દેખરેખ વધુ ચુસ્ત બની અને લોકોનો વિશ્વાસ ફરી બેન્કિગ વ્યવસ્થામાં જાગ્રત થાય તે માટે બૅલેન્સ-શીટમાં સુધાર લાવવા પર સતત પ્રયાસ થયા. હવે આ સિસ્ટમને પારદર્શી કહી શકાય તેવી બની છે.
આપણા દેશની બેન્કની સિસ્ટમ અહીં સુધી પહોંચી છે તેમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છતાં રાષ્ટ્રીયકૃત બેન્કોમાં મહદંશે વિશ્વાસ જળવાઈ રહ્યો છે. દેશમાં બેન્કોની શરૂઆત તો અઢારમી સદીમાં થઈ ચૂકી હતી જ્યારે દેશની પ્રથમ બેન્ક ‘બેન્ક ઑફ હિંદુસ્તાન’અસ્તિત્વમાં આવી હતી. બેન્કનો કન્સેપ્ટ દેશમાં લોન્ચ થઈ ચૂક્યો હતો; પરંતુ બેન્કમાં નાણાં મૂકાય તેવી આવશ્યકતા લોકોને તુરંત લાગી નહોતી. ધીરે ધીરે તેમાં વિશ્વાસ ઊભો થયો અને બેન્કનો ઇતિહાસ ઘડાતો ગયો. આ ગાળામાં મહદંશે બેન્કો રજવાડાંઓ દ્વારા આરંભ થયેલી બેન્કો હતી. તદ્ઉપરાંત કેટલીક બેન્કો બ્રિટિશ સરકાર અંતર્ગત આવતી હતી. બેન્કોનો આ વ્યવહાર શરૂ થયો અને આઝાદી પછીના બે દાયકામાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી બેન્કોને લઈને સૌથી મહત્ત્વનો નિર્ણય લીધો. તે વખતની સૌથી મોટી 14 બેન્કોને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીયકૃત જાહેર કરી દીધી હતી. આ ટૂંકો ઇતિહાસ એ માટે આપ્યો કે બેન્કોમાં તે વખતે જેમ રાષ્ટ્રીયકરણ થયું તે રીતે હવે બેન્કોમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે. વિદેશમાંથી આવતું ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક સેક્ટર બેન્કોમાં 49 ટકા સુધી કરી શકશે. આપણી હાલની પબ્લિક સેક્ટર એટલે કે નેશનલાઇઝ્ડ બેન્ક દેશની કુલ બેન્કિગ વ્યવસ્થામાં 55 ટકા હિસ્સો ધરાવે છે. અને અત્યાર સુધી આ હિસ્સામાં વિદેશી રોકાણકારો 20 ટકા સુધી સુધી જ ઇન્વેસ્ટ કરી શકતા હતા, હવે તે મર્યાદા વધારીને 49 ટકા સુધી વધારવાનો પ્રસ્તાવ મૂકાયો છે. હજુ સુધી આ પ્રસ્તાવને ‘RBI’અને નાણાં મંત્રાલયની લીલી ઝંડી મળી નથી. પ્રાઇવેટ બેન્કોમાં તો અગાઉથી જ 74 ટકા જેટલી વિદેશી મૂડી ઇન્વેસ્ટ કરવાની મંજૂરી છે.
ભારતીય બેન્કોમાં વિદેશી રોકાણકારો અવસર જુએ છે તેનું કારણ 12 રાષ્ટ્રીયકૃત બેન્કોની કુલ સંપત્તિનો આંકડો 171 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. બીજુ આ બેન્કોનો દબદબો દેશના ગ્રામિણ વિસ્તારમાં મસમોટો છે. ગ્રામિણ વિસ્તારમા લોન આપવી, ડિપોઝીટ મેળવવાનું કાર્ય બેન્ક દ્વારા જ થાય છે. બેન્કોમાં વિદેશી ઇન્વેસ્ટમેન્ટ વધારવાનું કારણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે બેન્કિંગ સિસ્ટમ વધુ મજબૂત બને અને લોકોને તેનો લાભ મળે. બીજું કે દેશની બેન્કિગ સિસ્ટમમાં છેલ્લા વર્ષોમાં ‘પ્રધાન મંત્રી જનધન યોજના’અને ડિજિટલ પેયમેન્ટના કારણે વધુ સુધાર આવ્યો છે.
ટૂંકમાં ભારતીય બેન્કોનું ચિત્ર અત્યારે ગુલાબી લાગી છે અને તેમાં વિદેશી કંપનીઓ પણ હવે અવસર જોઈ રહી છે. મસમોટી કંપનીઓને લઈને એ ખાસ સમજી લેવું જોઈએ કે આ કંપનીઓ ઇન્વેસ્ટ કરતી હોય તો તેની સામે તેમની અપેક્ષા વળતરની છે. બિઝનેસના બધા જ પહેલમાં આખરે તો નફાનો ઇરાદો હોય છે. આ ઇરાદાને સર કરવા વિદેશી કંપનીઓ પોતાના ભંડાર ભારતીયો બેન્કો માટે ઉઘાડ્યા છે. હવે રહી વાત કેન્દ્ર સરકાર અથવા તો ભારતીય બેન્કો આ માટે કેમ મંજૂરીની મર્યાદા વધારવા જઈ રહી છે. પ્રાથમિક જે રજૂઆત મૂકવામાં આવે છે તે બેન્કિગ સેક્ટરનો વ્યાપ વધારવાનો અને વધુ મજબૂત કરવાનો છે. તેનાથી ધંધા-વેપાર વધે અને તેની અસર દેશના અર્થતંત્ર પર સારી પડે. આ તો થઈ બેન્ક ઇન્વેસ્ટમેન્ટની સારી સારી વાતો. પરંતુ હવે આ મુદ્દાને શંકાના દાયરામાં રાખીને જોઈએ તો તેની અનેક નબળાઈઓ પણ દેખાશે. આ અંગે કૉંગ્રેસ પક્ષે પોતાનો મોરચો ખોલી દીધો છે. કૉંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રવક્તા જયરામ રમેશે આ પૂરા મુદ્દાને લઈને અનેક પ્રશ્નો ખડા કર્યા છે. તેમણે આ રીતે બેન્કોમાં વધારેલા વિદેશી ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પને ‘નોંધપાત્ર રીતે જોખમી’ગણાવ્યું છે. આ સાથે જયરામ રમેશે ઐતિહાસિક સંદર્ભ પણ મીડિયા સમક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, 1969માં જ્યારે ભારતીય બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે તેનો વિરોધ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે[RSS] કર્યો હતો.
ભારતીય બેન્કો પોતાનું મોડલ ખૂબ સક્ષમ બનાવ્યું છે અને હજુ પણ તે જ મોડલના આધારે દેશમાં બેન્કિંગ સિસ્ટમનો વ્યાપ વધારી શકે છે ત્યારે વિદેશી ઇન્વેસ્ટમેન્ટના આધારે તે વ્યાપ વધારવાનો શો અર્થ છે? સ્ટેટ બેન્ક ઇન્ડિયાની કાર્યશૈલીનું મોડલ એટલું સારુ છે કે આ બેન્કને 2025ના વર્ષનો ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેન્ક’એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને ‘ગ્લોબલ ફાઇનાન્સ’દ્વારા પણ 2025ની બેસ્ટ બેન્કનો એવોર્ડ મળ્યો છે. માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની જ વાત કરીએ તો દેશભરમાં બ્રાન્ચની સંખ્યા 22,980 છે.
દેશની આ સૌથી મોટી બેન્ક છે અને માર્કેટની કુલ લોન અને ડિપોઝીટનો 25 ટકા હિસ્સો ‘SBI’પાસે છે.
વિશ્વની સૌથી મોટી બેન્કોમાં ‘SBI’નો ક્રમ 43મો આવે છે. ટોપ ટેન બેન્કમાં મહદંશે સૌથી વધુ ચીન, તે પછી અમેરિકા અને તે પછીના ક્રમે ફ્રાંસ અને બ્રિટનની છે. ભારતીય બેન્કો અથવા તો તેનો સૌથી મોટો હિસ્સો ધરાવતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું સારું પર્ફોસન્સ છતાં તેમાં અવસરો માર્કેટની હિસાબે હજુય છે. આ વિશે ‘ધ વાયર ન્યૂઝ’પોર્ટલ પર વિસ્તૃત રિપોર્ટ મૂકવામાં આવ્યો છે- તે મુજબ દેશમાં હજુય ક્રેડિટ કાર્ડની સિસ્ટમ આરંભાઈ નથી. જે રીતે અમેરિકામાં 60 ટકાની આસપાસ લોકો ક્રેડિટ કાર્ડ ધરાવે છે; એ રીતે અમેરિકામાં વિદ્યાર્થીઓ લોન લે તેનો પણ બિઝનેસ ખૂબ મોટો છે. આપણે ત્યાં તેની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ અમેરિકા જેવી સ્થિતિથી આપણે જોજને દૂર છે. મતલબ કે મોટાં મોટાં કોર્પોરેટ અને અચ્છા પગારદારો માટે બેન્ક કામ કરશે, પરંતુ ઓછી આવકવાળા માટે બેન્કની સેવા મોંઘી બનશે. જેમ કે આજે અનેક એવાં ચાર્જિસ છે – જે બેન્ક બિન્દાસ લગાવે છે.
એટલું જ નહીં નાની રકમની લોન ખૂબ ઘટી ગઈ છે જ્યારે કોર્પોરેટ લોનનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. એનાં અનેક ઉદાહરણ આપી શકાય, પરંતુ આપણે અનિલ અંબાણીનો દાખલો લઈએ તો તેમની કંપનીએ 53 બેન્ક પાસેથી 49,000 કરોડ લીધા હતા. હવે જ્યારે આ અંગે ‘નેશનલ કંપની લૉ ટ્રિબન્યુલ’માં કેસ ચાલ્યો તો તેમાં આ રકમમાંથી 2,000 કરોડ ઘટી ગયા. અને સેટલમેન્ટમાં અનિલ અંબાણીને જે રકમ ભરવાની આવી તે માત્ર 455 કરોડની હતી.
બેન્કમાં ધરમૂળથી પરિવર્તનની વાત આવે છે ત્યારે મહદંશે 2008ની મંદી મુદ્દો રજૂ થાય છે. તે વખતે અમેરિકાની બેન્કિંગ સિસ્ટમની કરોડરજ્જુ તૂટી ગઈ હતી.
પરંતુ આપણા દેશના તંત્રને ઝાઝી અસર થઈ નહોતી. તેનું એક કારણ કે આપણે વિદેશની મૂડી પર નિર્ભર નહોતા. અમેરિકા અને વિશ્વનું માર્કેટ ડગુમગુ થયું ત્યારે પણ આપણા દેશને ઝાઝું નુકસાન ન થયું. અમેરિકાની બેન્કોની સ્થિતિ આજે પણ સારી નથી. અમેરિકામાં ડિપોઝીટ સતત ઘટી રહી છે. બેન્કિંગ સેક્ટરમાં આવી રહેલા વિદેશી રોકાણનો આ પ્રસ્તાવ મૂકાયો છે એટલે તે પાસ કરવામાં આવશે. હવે જોઈએ તે પછી બેન્કિંગ સેક્ટરમાં વિદેશી ઇન્વેસ્ટમેન્ટ વિશે જે દાવાઓ કર્યા છે તેવું પરિણામ આવે છે કે નહીં?