દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ગદરમાં હાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા છે અને સુરક્ષા દળોની ઘેરાબંધીમાં ફસાઈ ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ અથડામણ દરમિયાન એક JCO ઘાયલ થયો હોવાની માહિતી મળી છે. જોકે હજી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાસ્થળે જમ્મુ-કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ભારતીય સેના અને CRPFના જવાનો સંયુક્ત રીતે હાજર છે અને આતંકવાદીઓને ઘેરવા માટે વિશેષ ઓપરેશન ચલાવી રહ્યા છે.
કુલગામ એન્કાઉન્ટર અંગે કાશ્મીર ઝોનલ પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે ચોક્કસ ગુપ્તચર માહિતીના આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે માહિતી આપી હતી કે ગુદ્દર જંગલ વિસ્તારમાં આતંકવાદીઓના હાજરી અંગે પક્કી માહિતી મળતાં જ સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને લોકલ લોકોને સાવચેતી રૂપે સુરક્ષિત સ્થળે જવા સૂચના આપવામાં આવી છે.
સુરક્ષા દળો સતત આતંકવાદીઓ પર દબાણ બનાવી રહ્યા છે જેથી તેઓ ભાગી ન શકે. અહેવાલો મુજબ, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના કારણે અથડામણ વધુ તીવ્ર બની ગઈ છે.
સ્થાનિક સૂત્રો અનુસાર, વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ છે. ગોળીબારનો અવાજ દૂર સુધી સંભળાઈ રહ્યો છે. સત્તાવાર રીતે કેટલી સંખ્યામાં આતંકવાદીઓ ઘેરાયા છે તેની પુષ્ટિ હજી થઈ નથી. પરંતુ સુરક્ષા દળો માને છે કે ઓછામાં ઓછા બે થી ત્રણ આતંકવાદીઓ અંદર છુપાયેલા છે.
જોકે સુરક્ષા એજન્સીઓનું ધ્યાન આતંકવાદીઓને જીવતા અથવા નિષ્ક્રિય કરવા પર કેન્દ્રિત છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વધારાના દળોને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.