World

ઇઝરાયલે અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, સામસામે મિસાઈલ હુમલાઃ સીરિયાએ એરસ્પેસ બંધ કરી

ઇઝરાયલે ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ હેઠળ અનેક ઈરાની ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેમાં છ વૈજ્ઞાનિકો અને અનેક લશ્કરી કમાન્ડર માર્યા ગયા. ઈરાને પણ ઈઝરાયલ પર 100 થી વધુ મિસાઈલ છોડીને બદલો લીધો. ઈરાને તેના બદલાને ‘ટ્રુ પ્રોમિસ થ્રી’ નામ આપ્યું છે. મધ્ય પૂર્વમાં પ્રાદેશિક તણાવ વધ્યો છે. ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી, જ્યારે યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને પરમાણુ કરાર કરવાની ચેતવણી આપી. આ તરફ ઇઝરાયલી વાયુસેનાએ ઈરાન પર સપાટીથી સપાટી પર પ્રહાર કરતી ડઝનબંધ મિસાઇલોથી હુમલો કર્યો છે.

આ અગાઉ શુક્રવારે સવારે ઈઝરાયલે ‘ઓપરેશન રાઈઝિંગ લાયન’ હેઠળ ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં 6 વૈજ્ઞાનિકો અને અનેક ટોચના લશ્કરી કમાન્ડરો માર્યા ગયા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે અને 350 થી વધુ ઘાયલ થયા છે. આ હુમલામાં ઈઝરાયલે ઈરાનના મુખ્ય પરમાણુ પ્લાન્ટનો ઉપરનો ભાગ નાશ કર્યો હતો.

ઇઝરાયલી હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના વડા હુસૈન સલામી, ઈરાની આર્મી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બઘેરી, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નજીકના સહાયક અલી શામખાની અને આઈઆરજીસી એરફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ જેવા ટોચના અધિકારીઓ માર્યા ગયા હતા.

ઈરાને સત્તાવાર રીતે સ્વીકાર્યું કે ઈઝરાયલે ગઈકાલે રાત્રે ફોર્ડો પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. જોકે, નુકસાન ઓછું થયું છે. ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફોર્ડો પરમાણુ પ્લાન્ટને ન્યૂનતમ નુકસાન થયું છે. અમે હુમલા પહેલા ત્યાંથી મહત્વપૂર્ણ ઉપકરણો દૂર કરી દીધા હતા. કિરણોત્સર્ગી લીકેજનો કોઈ ભય નથી. પ્લાન્ટને થયેલા મર્યાદિત નુકસાનનું સમારકામ કરવામાં આવશે.

ઈરાને દાવો કર્યો છે કે તેણે ઈઝરાયલ પર 100 થી વધુ મિસાઈલ છોડી છે. આ હુમલામાં ઘણા નાગરિકો ઘાયલ થયા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે કે જો તે પરમાણુ કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો મોટો હુમલો કરવામાં આવશે.

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીએ કહ્યું છે કે ઈઝરાયલે યુદ્ધ શરૂ કર્યું છે અને હવે તે આ યુદ્ધમાંથી બહાર નીકળી શકશે નહીં. નિઃશંકપણે ઈઝરાયલ માટે જીવવું મુશ્કેલ બનશે. તેમણે વિચારવું જોઈએ કે તેમણે ઈરાન પર હુમલો કર્યો છે.

આ તરફ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયલની સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે. વધુ વિનાશ હજુ બાકી છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમારો ઉદ્દેશ્ય ઇઝરાયલના અસ્તિત્વ માટે ઈરાન દ્વારા ઉભા થયેલા ખતરાને દૂર કરવાનો છે. ઈરાને આ હુમલાનો જોરદાર જવાબ આપ્યો અને આ કાર્યવાહીને ‘ટ્રુ પ્રોમિસ થ્રી’ નામ આપ્યું.

ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જારી કર્યો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના ભય વચ્ચે, ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક સલાહકાર જારી કર્યો. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “સતર્ક રહો અને પરિસ્થિતિ પર નજર રાખો. ઈઝરાયલી અધિકારીઓની સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરો. બિનજરૂરી મુસાફરી ટાળો. નજીકના સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો.” ઉપરાંત, દૂતાવાસે એક હેલ્પલાઈન નંબર જારી કર્યો છે.

એર ઇન્ડિયાએ મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ અને મધ્ય પૂર્વની પરિસ્થિતિને કારણે એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે કેટલીક ફ્લાઇટ્સ વૈકલ્પિક અને લાંબા રૂટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. એર ઇન્ડિયાએ મુસાફરોને ફ્લાઇટની સ્થિતિ જાણવા માટે સત્તાવાર વેબસાઇટ અને ગ્રાહક કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે. એરલાઇન કહે છે કે મુસાફરોની સલામતી તેમના માટે ટોચની પ્રાથમિકતા છે.

ઇઝરાયલે ઇરાન પર હુમલાનો વીડિયો જાહેર કર્યો
અનુરાગ ઇઝરાયલી વાયુસેનાએ સોશિયલ મીડિયા X (પહેલાનું ટ્વિટર) પર ઈરાન પરના હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે ડઝનબંધ ઇઝરાયલી ફાઇટર જેટ્સે આખી રાત ઈરાનની રાજધાની તેહરાન પર હુમલો કર્યો હતો, જેમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ માળખાનો પણ સમાવેશ થાય છે. આ હુમલો તેહરાનમાં સ્થિત સંરક્ષણ પ્રણાલીને નષ્ટ કરવાના પ્રયાસમાં કરવામાં આવ્યો હતો.

સીરિયા જતી બધી ફ્લાઇટ્સ સ્થગિત
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં કટોકટી વધુ ઘેરી બની રહી છે. દરમિયાન, સીરિયાએ તાત્કાલિક અસરથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર કામચલાઉ પ્રતિબંધ લાદ્યો છે. સીરિયાએ એરસ્પેસ બંધ કર્યો છે.

Most Popular

To Top