Comments

પ્રજાકીય સમજણની સમૃદ્ધિમાં વધારો થાય તે આપણી જરૂરિયાત છે

ગુજરાતી વિક્રમ સંવત હવે તેના અંતિમ તબક્કામાં છે. રાવણને ફરી એક વાર મારીને આપણે સત્યના વિજયનો આનંદ મનાવ્યો છે અને આ તહેવારોમાં સૌ સુખ સમૃધ્ધિની આશા રાખે છે. પણ આપણા જેવા લોકશાહીનાં ચાહકોએ તો પ્રજાની સમજણ સમૃદ્ધિ વધે તે જ આશા રાખવી ઘટે. એમાંય દર પાંચ વર્ષે આવતા ચૂંટણી પર્વના વર્ષે તો એમાં અપેક્ષા વધે જ. તહેવારોનો માહોલ પૂરો થતાં જ ચૂંટણીના નગારા વાગવાના શરૂ થશે અને આ નગારાં આપણા મૂળભૂત પ્રશ્નોને ભુલાવી દેવા તથા આપણી આસપાસના પીડાના અવાજને કાને ના પાડવા દેવા વગાડવામાં આવે છે.

અતિ ખર્ચાળ રેલીઓ આંખોને બીજું કશું જ ના દેખાય એવાં બેનરો અને જાહેરાતો મલ્ટીનેશનલ કંપનીઓને શરમાવે તેવી ટી.વી.ની જાહેરખબરોનો મારો મોટા રાજકીય પક્ષો મારશે અને આ બધા જ શોરબકોરમાં લોકશાહીનો અવાજ દબાવી દેવાશે. લોકશાહીને આ લોકોએ ઈજારાયુક્ત હરીફાઈવાળું બજાર બનાવી દીધી છે જ્યાં જાહેરાતના મારા દ્વારા પ્રજાને ભરમાવી દેવામાં આવે છે. આ સમયે લોકોને કંઈ કામ લાગે છે તો એ છે પોતીકી સમજણ.આપણો અનુભવ અને નાનો પણ મક્કમ અવાજ જે સત્યની તરફદારી કરતો હોય છે. પ્રજાએ આ બધી વ્યવસ્થાવાળા સમયમાં થોડા સ્વાર્થી બનવું જોઈએ. ભાજપ કે કોંગ્રેસ કાર્ય વગર પોતાના રોજિંદા જીવનમાં જોવું જોઈએ.

જો દરેક વ્યક્તિ માત્ર એટલું જોતો થઇ જાય કે છેલ્લાં દસ વર્ષમાં મારા જીવનમાં શું ફેર પડ્યો અને જો ફેર પડ્યો તો એના માટે આ રાજ્કીય પક્ષો કેટલા જવાબદાર? દરેક વ્યક્તિ પોતાની આસપાસના જગતને જુવે અને નક્કી કરે કે મારા ગામની સડકો કેવી છે? મારા ગામમાંથી શહેરમાં જવાની સગવડો કેવી છે? મારા ગામની સ્કૂલોની શું હાલત છે? મારું બાળક જે ભણે છે તે એને આગળ જતાં રોજગારી આપશે કે કેમ? મારી આજુબાજુમાં આરોગ્ય સેવાઓ કેટલી વિકસી? આ પાયાની સુવિધાના પ્રશ્નો કરવાના અને પ્રામાણિક જવાબ મેળવવાના.

જો છોકરો એન્જીનીરીંગમાં ભણે છે તો વિચારનું કે તે કેટલી ફી ભરે છે? શું તેને યોગ્ય અધ્યાપકો ભણાવે છે? જો તમે ખાનગી સ્કૂલો કે કોલેજોમાં બાળકો ભણાવો છો તો વિચારવાનું કે શું સરકાર આ સગવડો આપી શકી હોત? આપણાં બાળકો જ્યાં ભણે છે તે મેડીકલ કોલેજો કે એન્જીનિયરીંગ કોલેજોમાં પ્રોફેસરો છે? તેમને યોગ્ય પગાર મળે છે? આપણા ગામ કે નગરમાં હોસ્પિટલો છે? ત્યાં યોગ્ય દાક્તરો છે? વાજબી ફી દ્વારા તપાસ થાય છે. સરકારી કચેરીથી માંડીને ટ્રાફિક પોલીસ સુધી તમારો લાંચ આપવાનો અનુભવ કેવો છે? યાદ રાખો, માત્ર ટીકાઓ કરવાથી ,ફેસબુક પર મેસેજો અપલોડ કરવાથી કંઈ ના વળે. લોકશાહીમાં તો મતદાન એ જ પ્રજાનો મિજાજ આપણી સમજણ, આપણો અનુભવ, આપણું ડાહપણ બધું જ આ એક મતમાં વ્યક્ત થાય છે.

એક નાનો કિસ્સો મજાનો છે. એક બાપે તેના દીકરાને આ ધનતેરસે બોલાવીને સોનાનો સિક્કો આપ્યો અને કહ્યું બેટા આ કિંમતી છે. સાચવીને વાપરજે અને જ્યાં વાપરે ત્યાં એનું મૂલ્ય મળે તે રીતે વાપરજે અને કોઈને આપે તો એનું મૂલ્ય સમજે તેને આપજે. પિતા દીકરાને શિખામણ આપતા હતા ત્યાં જ સ્થાનિક બુથ લ્રેવલ ઓફિસર આવ્યા અને પિતાના હાથમાં વોટર આઈડી ની ચિઠ્ઠી મૂકી અને બોલ્યા કે આ કાપલી મત આપવા આવો ત્યારે જરૂર લઈ આવજો અને પછી બોલ્યા ..”વડીલ હમણાં આપ જે આપના દીકરાને કહેતા હતા તે આપણને સહુને લાગુ પડે છે.આ કાપલી બહુ મૂલ્યવાન છે. એ સમજીને વાપરજો અને જે એનું મૂલ્ય સમજે તેને આપજો.

આપણે આપણા મતની કિંમત સમજવી પડશે.માત્ર એક દિવસ નહિ, રોજ જાગવું પડશે અને એક વાત ખાસ કે માત્ર આર્થિક બાબતો જ નહિ, આપણા સામાજિક રાજકીય માળખાના પરિવર્તન માટે પણ જાગવું પડશે. લોકશાહીમાં મૂળભૂત તો વ્યક્તિ સ્વતન્ત્રતાનો આદર કરનારાને પ્રથમ પસંદગી મળવી જોઈએ કારણકે ભૌતિક વિકાસ તો અંગ્રેજો હોત તો પણ થતો જ હોત. કમનસીબે આપણા દેશમાં પહેલાં બે વિચારધારાની લડાઈ ચાલતી હતી તે હવે બે પક્ષોની અને હવે માત્ર બે વ્યક્તિની લડાઈ બનાવી દેવામાં આવી છે.જો કે આ ભ્રમણા છે. લોકોને ગેરમાર્ગે દોરવાનું ષડ્યંત્ર છે અને લોકો આ વ્યક્તિવાદી રાજકારણમાંથી નીતિવાદી રાજકારણમાં વિચારતા થાય તે આશા સાથે સાલમુબા રક.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top