Comments

બંધારણીય મૂલ્યોનું જતન કરવા મિડિયાએ તટસ્થ બનવું રહ્યું

ઇરાન અને ઇઝરાઇલ યુદ્ધની પ્રારંભિક શક્યતા દેખાતા શેર બજારમાં કડાકો બોલી ગયો. વર્ષ ૨૦૨૪ ના લોકસભા ઇલેક્શનમાં બી.જે.પી.ની સીટો ઘટવાની સંભાવના બજારમાં સચોટ રહી. પરંતુ જમ્મુ કાશ્મીર કે હરિયાણા રાજયનાં ચૂંટણી પરિણામોમાં મિડિયાનો એકઝીટ પોલ અગાઉના ચૂંટણી પોલ માફક સદંતર ધૂળ-ધાણી થયો. અહીં પ્રશ્ન છે કે બજારની ગણતરી સામે મિડિયાની ભૂમિકા હવામાનના વરતારા માફક શા માટે નબળી પુરવાર થાય છે!!!

મિડિયામાં બેઠેલા શિક્ષિત અને અભ્યાસુ મહાનુભાવોને રાજકીય પક્ષોનાં ૮-૧૨ ધોરણ પાસ અને કયારેક જેલવાસ ભોગવી ચૂકેલા નેતાઓ સલાહ આપતા હોય છે કે ‘એર કંડીશનલ સ્ટુડિયો અને બિસ્લેરીની બોટલથી પંડિત થવાય રાજ નેતા નહીં.’’ બજારની સફળતા અને મિડિયાની નિષ્ફળતાના વલણથી હવે લોકશાહીના ઘડતરનું કાર્ય મિડિયા પાસેથી સરકી રહ્યાની ગંભીર નોંધ લેવી પડે તેવો સમય આવી પહોંચ્યો છે.

વર્ચ્યુઅલ સાયકોલોજીમાં વિકસતી નવી પેઢી તો સ્માર્ટ ફોન ઉપર છાપા સામયિક ફેરવી કાઢે છે. વોટસએપ, ટવીટર, ફેઇસબુકનાં અતિરેકવશાત કેટકેટલીય સંવેદનશીલ બાબતો અંદેખી રહી જાય છે અને કોવિડ પછી તો પ્રિન્ટ મીડિયા ઉપર શનિની સાડાસાતી મંડાઇ છે. આમ છતાં જે બચ્યું છે તેના આધારે બંધારણીય મૂલ્યોની જાળવણીનું કાર્ય પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયાથી થાય તે અનિવાર્ય અપેક્ષા બને છે.

જો જીતા વો હી સિકંદર- તેવા પ્રચલિત અભિગમના લીધે રાજકીય પક્ષો હવે કોઇ પણ સ્તરની તડ-જોડથી સત્તામાં રહેવાનું ગોઠવી રહ્યાનું વલણ સહજ થયું છે અને આ માટે પક્ષો પોતાના ઉદ્યોગ જૂથોના ટેકે વર્તમાનપત્રો અને ટી.વી. ચેનલો ખરીદ કરેલ છે. પોતાની પાર્ટીને અનુરૂપ અભિપ્રાય પ્રજામત તરીકે પ્રતિપાદિત કરવા ઉત્સાહી રહે છે. જનમત, લોકમત, એકઝીટ પોલ તેવા ફેન્સી નામથી મિડિયા માસ ઓપીનીયન તૈયાર કરવા પ્રયત્નશીલ રહે છે.

પરંતુ દેશનો આમ નાગરિક મિડિયાના અભિપ્રાયથી પોતાને અળગો રાખી રહ્યો છે. પરિણામે જનમત વિષયે ધારણાઓ લગભગ લગભગ હવામાં ઊડી જતી જોવા મળે છે. જમીની હકીકતો તો આવી જ કંઇ છે. પણ તેથી ફરી બંધારણનાં મૂલ્યો ઉપર તો ફરી બજાર (સ્વાર્થવાદ) ની પકડ મજબૂત થઇ રહી છે!!! અર્થશાસ્ત્ર જેને ‘‘ગૃપ ઓફ કોમન ઇન્ટરેસ્ટ’’ તરીકે જાણે છે તે વલણ અનુસાર સમાજસેવા, રાષ્ટ્રસેવા કે પછી વિકાસનાં ઓઠા તળે સમાન હિત જૂથ ધરાવતાં સ્વાર્થી લોકોને એકઠાં થવા આજે મોકળું મેદાન મળી રહ્યું છે.

પરિણામે; ત્રણ શિયાળા વિત્યા છતાં યુક્રેઇન અને રશિયાનાં ગામડાંઓ અને શહેરોમાં સામાન્ય જનતા ઠુંઠવાઇને મરી રહી છે. ઇઝરાઇલ અને ગાઝા પટ્ટી ઉપર છેલ્લા એક વર્ષમાં લાખો બાળકો અને સ્ત્રીઓ કાટમાળમાં દટાઇ મુવા છે. આપણા દેશમાં મણીપુરમાં હજારો કુકીઝ (જાતિ) સમુદાયની વસાહતો બળીને ખાખ થઇ છે. આપણા ગામના સીમાડે રેલ દર્ઘટના કે પછી ભ્રષ્ટાચારની બાંગ પોકારતા ખરાબ રસ્તાઓમાં અકસ્માતથી મૃત્યુ પામેલ કે અપાહિજ બનેલ નાગરિકોની સંખ્યા હજારોમાં જાય છે. આંતરરાષ્ટ્રીય સીમાડાઓથી લઇ ઘર આંગણા સુધી માનવતાના મૃત્યુઘંટ સમાન અસંખ્ય ઘટનાઓ પાછળ કોઇ એક ખામી હોય તો ‘‘રાજય શાસકો ઉપર સત્ત્વશીલ દબાણ જૂથનો અભાવ છે.’

વર્ષ ૧૭૮૦ એટલે કે આજ થી ૨૪૪ વર્ષ પહેલાં ભારતમાં બંગાળ ગેજેટસ નામે અઠવાડિક શરૂ થયું. ૬૦ વર્ષ પહેલાં દૂરદર્શનથી સમાચાર પ્રસારણનો ઇતિહાસ અત્યંત સશક્ત છે. રાજા રામ-મોહનરાય, લોકમાન્ય ટિળકથી લઇ ગુજરાતમાં કાકા કાલેલકર સુધી પત્રકારત્વનો વારસો મજબુતાઇથી ઊભો છે. વર્ષ ૧૮રરથી આજ દિન સુધી કાર્યરત મુંબઇ સમાચાર ગુજરાતી ભાષાનો મિજાજ વ્યક્ત કરે છે. એટલું જ નહીં પણ સ્વતંત્રતા પૂર્વે ૧૮૯૦ માં ત્રાવણકોર દિવાનની જોહુકમી હોય કે ૧૯૪૬ માં પત્રકાર તરીકે મહાત્મા ગાંધીની હાકલ હોય, પત્રકારોએ ઇમરજન્સી, ભોપાલ દુર્ઘટના કે પછી ગોધરા હત્યાકાંડમાં નિર્ણયાત્મક ભૂમિકા ભજવી દેશના બંધારણનું સન્માન જાળવ્યું છે.

ત્યારે વિચારીએ કે મૂડીનું રોકાણ કરી રાજકીય પક્ષોની છત્રછાયામાં ગોઠવાતા પ્રજાનાં પ્રતિનિધિઓ અને બંધારણીય રીતે જે સરકાર છે તેવા અમલદારોના સમાન આર્થિક હિતોમાંથી સરજાતા પારાવાર પ્રશ્નોમાં પ્રજા અટવાઈ રહી છે તેવા ભ્રષ્ટ વાતાવરણ વચ્ચે માત્ર અને માત્ર મિડિયા દબાણ જૂથ તરીકે સામનો કરી શકે તેવી તાકાત ધરાવે છે. ભવ્ય ભૂતકાળ ધરાવે છે. લોકશાહીમાં પાંચ વરસે એક વાર પ્રજા, મત દ્વારા પોતાની વાત મૂકવા હકદાર છે.

પરંતુ આજે સમાન હિત જૂથ પ્રજાને જ્ઞાતિ, જાતિ અને રેવડીની લાલચ આપી એક દિશા તરફ જતાં રોકી રહી છે ત્યારે બંધારણીય રાષ્ટ્રહિતનું રક્ષણ તો મિડિયાના દબાણથી જ શક્ય બનતું દેખાય છે. લોકશાહીના ચોથા આધારસ્તંભ સમાન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયા કોમન એજંડા તરીકે બંધારણીય હિતોનું રક્ષણ કરવા આગળ આવે તે સમયની માંગ બને છે અને પ્રજા તરીકે વાચક પણ બંધારણીય અહિતથી પોતાની જાતને અળગી રાખવી તેને પોતાની ફરજ જાણે તેવો સમયનો તકાજો ઉદ્દભવ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top