Sports

રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેની ઉંમર હવે 37 વર્ષની છે. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોમાં ચર્ચા છે કે તેની કારકિર્દી કેટલો સમય ચાલશે. રોહિત શર્માના બાળપણના કોચે આ ચર્ચાને વધુ રસપ્રદ બનાવી છે.

રોહિતના બાળપણના કોચ દિનેશ લાડનું કહેવું છે કે રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી વહેલો નિવૃત્ત થઈ શકે છે પરંતુ તે 2027માં યોજાનાર ODI વર્લ્ડ કપમાં ચોક્કસપણે રમશે.

રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડ આ દિવસોમાં દિલ્હીના પ્રવાસે છે. તે મુંબઈની અંડર-19 ટીમનો કોચ છે. એક ઈન્ટરવ્યુમાં દિનેશ લાડે રોહિત વિશે ખુલીને વાત કરી. દિનેશ લાડે કહ્યું, તેની ઉંમર વધી રહી છે તે જોતા તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે પરંતુ હું 100 ટકા વચન આપું છું કે રોહિત શર્મા 2027નો ODI વર્લ્ડ કપ રમશે.

રોહિત શર્માના તાજેતરના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં તે ખેલાડીઓને ગાળો બોલતો જોવા મળ્યો હતો. શું તે શરૂઆતથી જ આવો રહ્યો છે કે પછી કેપ્ટન બન્યા પછી થોડો ફરક આવ્યો છે. આ સવાલ પર દિનેશ લાડે કહ્યું, રોહિત શરૂઆતથી જ આવો રહ્યો છે. તે મેદાન પર ખેલાડીઓને જેટલો ઠપકો આપે છે તેટલો જ બહાર પ્રેમથી વાત કરે છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025)ના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. ભારતીય ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરે તેવી પૂરી સંભાવના છે. WTCની ફાઈનલ આવતા વર્ષે જૂનમાં રમાશે. ત્યાં સુધીમાં રોહિત શર્મા 38 વર્ષનો થઈ ગયો હશે.

Most Popular

To Top