Comments

વિચારધારા જૂદી હોય એટલે ખોટી હોય એવું માની ના લેવું

લાલિયા …ડાબેરીઓ ..જમણેરીઓ….વિશ્વ આમ તો અનેક રીતે વહેંચાયેલું હતું પણ અઢારમી સદી પછી તે આર્થિક રીતે પણ વહેંચાઈ ગયું.કાલમાર્ક્સના વિચારો બાદ પશ્ચિમમાં નોકરશાહી અને સામન્તશાહી સામે અવાજો ઊઠ્યા અને રાષ્ટ્રના વિકાસ માટે સામાન્ય પ્રજાના હિત માટે એક નવી આર્થિક પદ્ધતિ અમલમાં આવી જેમાં સંપત્તિવિહોણા,પાયાની જરૂરિયાતોથી વંચિત બનેલા ને માર્કસના આર્થિક વિચારોમાં પોતાના જીવનનો ધ્યેય દેખાયો.માણસ હમેશાં વિકલ્પો શોધે છે. તેને સતત સારા ભવિષ્યની શોધ હોય છે, જેને મળી ગયું છે તેને વર્તમાન સારું લાગે છે અને જે વંચિત છે તે નવું શોધે છે.

ભારતમાં અત્યારે ફરી સામ્યવાદ અને મૂડીવાદના વિચારભેદનો વિવાદ ચગ્યો છે. લાલિયાઓ ખત્મ થઇ જશે ના નારા લાગ્યા ત્યાં જ ખેડૂતોના માથે લાલ ટોપીએ દેખા દીધી. કાલ માર્કસે કહ્યું હતું કે દુનિયાનાં ગરીબો, તમે ભેગાં થાવ. તમારે તમારી ગરીબી સિવાય કશું જ ગુમાવવાનું નથી અને ગરીબો આ સમજે કે ના સમજે મૂડીપતિઓ આ વાત જરૂર સમજી ગયા કે જો ગરીબો વંચિતો ભેગા થાય તો આપણી આર્થિક સત્તા જોખમમાં આવે. માટે જ તેઓ એકતાની તમામ ચળવળોને નાકામ કરવા લાગ્યા, બદનામ કરવા લાગ્યા.

અર્થશાસ્ત્રના અભ્યાસુઓ જાણે છે કે જેમ અધ્યાત્મ ક્ષેત્રે કહેવાય છે કે ઈશ્વરને પામવાના રસ્તા જૂદા જૂદા છે પણ ઈશ્વર તો એક જ છે. તમામ રસ્તા અંતે એક જ જગ્યાએ મળે છે તેમ આર્થિક પદ્ધતિઓ ભલે જૂદી જૂદી હોય પણ એ તમામનો મુખ્ય ઉદે્શ એક જ છે. દેશનો આર્થિક વિકાસ કરવો,પ્રજાના આર્થિક કલ્યાણમાં વધારો કરવો, મૂળમાં બે વિચારધારા અમલમાં આવી હતી જેના રસ્તા સાવ જૂદા હતા. એક વિચારધારા એવું માનતી કે દેશમાં આર્થિક સાધનોની માલિકી અને તેના વપરાશનો નિર્ણય સમાજ પાસે હોવો જોઈએ અને આ માટે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થવું જોઈએ. જયારે બીજી પદ્ધતિ એમ માનતી હતી કે આર્થિક સાધનોની માલિકી ખાનગી હોવી જોઈએ અને નિર્ણયો વ્યક્તિગત રીતે સ્વતંત્ર પાને લેવાવા જોઈએ.લોકશાહી એ માણસ જાતે ઊભી કરેલી વ્યવસ્થા છે. પહેલાં તો રાજાશાહી હતી તેવીજ રીતે પહેલાં આર્થિક સત્તાઓ પણ વ્યક્તિગત રીતે વહેંચાયેલી હતી અને કોઈ નિશ્ચિત વિચારધારાથી બંધાયેલી ના હતી.

લોકો કોઈ નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરવાના સામુહિક પ્રયત્નના ભાગ રૂપે આર્થિક વ્યવસ્થા ચલાવતા ના હતા પણ ,જેમ વંશપરમ્પરાવાળી શાસનવ્યવસ્થાનો વિકલ્પ લોકશાહીમાં આવ્યો તેમ આર્થિક ક્ષેત્રે સમાજવાદ આવ્યો, જ્યાં આર્થિક સાધનોની માલિકી સમજની આવી અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું.ભારત સ્વતંત્ર થયું ત્યારે તેની પાસે બે રસ્તા હતા. કાંટો સામ્યવાદી થયું અથવા મૂડીવાદી અને ભારતમાં તત્કાલીન નેતાઓએ ભારત માટે મૂડીવાદ અને સમાજવાદના મિશ્ર લક્ષણવાળી મિશ્ર આર્થિક પદ્ધતિ અપનાવી.ભારતમાં શરૂઆતમાં સામ્યવાદીઓ મૂડીવાદના વિરોધી રહ્યા પણ સમય જતાં તેઓ આર્થિક પદ્ધતિના વિરોધના બદલે પૂજાની પધ્ધતિના વિરોધ તરફ વળી ગયા અને ૧૯૯૧ માં જયારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે ઉદારીકરણ અને ખાનગીકરણ સ્વીકાર્યું ત્યારે શરૂઆતમાં સામ્યવાદીઓએ વિરોધ કર્યો પણ ભાજપના વિરોધમાં તેઓ મૂડીવાદને ટેકો દઈ બેઠા.

ભારતના સામ્યવાદીઓ આજે જે સ્થિતિમાં પહોંચ્યા છે તેનું મૂળ કારણ ભારતમાં બજારવાદની લોકપ્રિયતા છે. નવી પેઢી પછી તે બેરોજગાર અને ગરીબ હોય તો પણ તે વસ્તુવાદના રવાડે ચડેલી છે. તેને ખબર જ નથી કે સમાજવાદ મૂળમાં તો ગરીબીનો, આર્થિક અસમાનતાનો અને ગરીબીનો વિરોધ કરે છે. આજે વાતવાતમાં ડાબેરીઓ, જમણેરીઓ, લાલિયા ધોળિયા બોલનારને ખબર જ નથી કે આ બધાં નામ સામસામી વિચારધારાવાળાએ એકબીજાને બદનામ કરવા બોલેલાં નામ કે સર્વનામ છે અને દરેક વિચારધારાવાળા સામી વિચારધારાને ખોટી જ કહે છે. પછી તે રાજકારણ હોય, ધર્મ હોય કે આર્થિક પધ્ધતિ, પણ અભ્યાસુ લોકોએ આનાથી દૂર રહી મૂલ્યાંકન કરવું જોઈએ. સામ્યવાદમાંથી હિંસા કાઢી નાખો તો તે લગભગ ગાંધીવાદ બની જાય છે.

લોકશાહીનાં ઘણાં બધાં મૂલ્યો સમાજવાદ સાથે મેળ ખાય છે તો સ્વતન્ત્રતા મૂડીવાદ સાથે મેળ ખાય છે. ભારતની કુટુંબવ્યવસ્થા કે આશ્રમવ્યવસ્થા સામ્યવાદનું બિનહિંસક આદર્શ સ્વરૂપ છે. ભારતમાં અત્યંત પ્રસાર પામેલી સંઘ પરિવારની કામ કરવાની પદ્ધતિ સામ્યવાદની કેડર બેઝ કામ કરવાની પદ્ધતિ જેવી જ છે. ફરક માત્ર હિન્દુત્વનો અને ભારતીયતાનો છે.આમ જુઓ તો સરકાર દ્વારા જમીન ફાળવાની, બેન્કોનું સરકારીકરણ, શિક્ષણમાં નિયંત્રણ, અનાજ કે ગેસ જેવી પાયાની જરૂરિયાતોનું વિતરણ અને આધારકાર્ડની યોજના સામ્યવાદી કેન્દ્રીકરણની જ નીતિની ઉપજ છે માટે આપણે જરૂર છે આર્થિક નીતિના અભ્યાસની નહીં કે ભ્રામક પ્રચારમાં ભ્રમિત થવાની.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top