World

PM મોદીએ ઈઝરાયેલના PM નેતન્યાહુ સાથે ફોન પર વાત કરીઃ કહ્યું- ભારત શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ

મધ્ય પૂર્વ એશિયામાં હાલમાં તણાવ ચરમસીમા પર છે. એક તરફ ઈઝરાયેલ છે, બીજી બાજુ હમાસ, હિઝબુલ્લાહ, યમનના હુથી અને ઈરાન છે. ઈઝરાયેલ દ્વારા એક પછી એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ઈઝરાયેલે હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહની હત્યા કરી દીધી છે, જેનાથી તણાવ વધુ વધ્યો છે. આવા સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી છે. પીએમ મોદીએ ખુદ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

ઇઝરાયેલ-લેબનોન તણાવ વચ્ચે વડા પ્રધાન મોદીએ સોમવારે 30 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પોતે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આપણી દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી. પ્રાદેશિક તણાવને સમાવવો અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોત બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે. લેબનોનમાં ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકો માર્યા ગયા છે.

દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી – પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમણે પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ વિશે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આપણી દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

બંને નેતાઓ વચ્ચે 45 દિવસમાં બીજી વાતચીત
છેલ્લા 45 દિવસમાં બંને નેતાઓ વચ્ચે આ બીજી ફોન પર વાતચીત છે. આ પહેલા 16 ઓગસ્ટે બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. તે સમયે પણ પીએમ મોદીએ ઇઝરાયલના વડાપ્રધાનને વાટાઘાટો અને કૂટનીતિ દ્વારા હમાસ સાથે યુદ્ધ ખતમ કરવાનું કહ્યું હતું. આ સાથે તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અને યુદ્ધવિરામ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

Most Popular

To Top