National

મસ્જિદના ડિમોલીશન મામલે મુંબઈમાં તોફાન, BMCની ટીમને ટોળાએ ઘેરી લીધી, વાહનોની તોડફોડ કરી

મુંબઈઃ મુંબઈના ધારાવીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાના મામલે તોફાન થયું છે. મુંબઈ મહાનગર કોર્પોરેશનની ટીમને લોકોએ ઘેરી લીધી હતી. વાહનોમાં તોડફોડ કરી હતી. આ તોફાનના લીધે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા. 21 સપ્ટેમ્બરની સવારે ધારાવીમાં આવેલા મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવા માટે BMCની ટીમ પહોંચી હતી પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો. લોકો રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

સ્થિતિની ગંભીરતા જોતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. ધારાવીમાં સ્થિતિ હજુ પણ તંગ છે. BMC અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે આ મામલે ચર્ચા કરી રહ્યા છે.

હકીકતમાં મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા અનધિકૃત જાહેર કરવામાં આવી હતી અને તેને આજે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. BMCના અધિકારીઓની કાર્યવાહી પહેલા જ ગત રાતથી જ મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર આવી ગયા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે.

કોંગ્રેસના સાંસદ આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યા હતા
મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે અને તેની સામેની કાર્યવાહી ખોટી છે. મુંબઈ ઉત્તર મધ્યના સાંસદ પ્રો. વર્ષા ગાયકવાડે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે જી તેમને મળ્યા અને ધારાવીની મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદને બીએમસી દ્વારા આપવામાં આવેલી ડિમોલિશન નોટિસ અંગે લોકોની લાગણીઓ વિશે તેમને જાણ કરી.

વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી સાથે સકારાત્મક વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરશે અને આશ્વાસન આપ્યું કે ડિમોલિશન પ્રક્રિયા બંધ કરવામાં આવશે.

Most Popular

To Top