National

PM મોદીએ કહ્યું- જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું, પ્રથમ તબક્કાના મતદાનમાં રચાયો ઈતિહાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં કહ્યું, ‘અમે દેશની સંસદમાં કહ્યું છે કે અમે જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપીશું. ભાજપ જ આ વચન પૂર્ણ કરશે. તેથી હું તમને અપીલ કરું છું કે 25મી સપ્ટેમ્બરે મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખજો. તેમણે કહ્યું કે ચૂંટણીના પ્રથમ તબક્કામાં આટલી મોટી સંખ્યામાં મતદાન થયું હતું. આ ખુશીની વાત છે કે આતંકનો અંત આવ્યો છે અને લોકો આટલી મોટી સંખ્યામાં ચૂંટણી માટે ઘરોમાંથી બહાર આવ્યા છે. આ નવો ઈતિહાસ રચાયો છે. તમે આ ઈતિહાસ રચ્યો છે. દુનિયા જોઈ રહી છે કે જમ્મુ-કાશ્મીરના લોકો કેવી રીતે ભારતના લોકતંત્રને મજબૂત કરી રહ્યા છે.

આ પહેલા તેમણે નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસ વિશે કહ્યું હતું કે, ‘આ ત્રણ પરિવારોએ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે દાયકાઓથી ઘાટીમાં નફરતનો સામાન વેચ્યો છે. જેના કારણે અહીંના યુવાનો પ્રગતિ કરી શક્યા નથી. જે યુવાનોને આગળ વધવા દેવાયા ન હતા તે યુવાનો હવે તેમની સામે મેદાનમાં આવ્યા છે. આજે ખીણના 20-25 વર્ષની વયના ઘણા યુવાનો શિક્ષણથી વંચિત છે. ઘણા એવા છે જેમને દેશના બાકીના બાળકો કરતાં 10મા-12મા કે કોલેજ સુધી પહોંચવામાં વધુ વર્ષો લાગ્યા છે. આવું એટલા માટે થયું કારણ કે કોંગ્રેસ, એનસી અને પીડીપીના ત્રણ રાજવંશ નિષ્ફળ ગયા છે.

હું અહીં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણ ઇમાનદારી સાથે કામ કરી રહ્યો છું. અહીં શાળા-કોલેજો સરળતાથી ચાલી રહી છે, બાળકોના હાથમાં પથ્થર નથી પણ પેન, પુસ્તક અને લેપટોપ છે. આજે અહીં નવી શાળાઓ, નવી કોલેજો, મેડિકલ કોલેજો, આઈઆઈટી બનવાના અહેવાલો છે. હું ઈચ્છું છું કે અમારા બાળકો ભણે અને વધુ સક્ષમ બને, તેમના માટે અહીં નવી તકો ઊભી કરવી જોઈએ.

જમ્મુ-કાશ્મીરના યુવાનો હવે લાચાર નથી, તેઓ મોદી સરકારમાં વધુ મજબૂત બની રહ્યા છે. ભાજપે યુવાનોને રોજગારી આપવા માટે પણ મોટી જાહેરાતો કરી છે. કૌશલ્ય વિકાસ હોય, સક્ષમ લોકોને કોઈ પણ પ્રકારની છેતરપિંડી વિના સરકારી નોકરી આપવી હોય, ભાજપ આ તમામ કાર્યો અહીં પૂર્ણ કરશે.

મોદીએ કહ્યું કે હઝરતબલ, ખીર ભવાની જેવા પવિત્ર સ્થાનો પણ આ ત્રણ પરિવારોના શાસનમાં સુરક્ષિત નહોતા. એક સમય હતો જ્યારે લાલ ચોકમાં આવવું અને અહીં ત્રિરંગો લહેરાવવો એ જીવલેણ કાર્ય હતું. હવે ચિત્ર બદલાઈ ગયું છે. હવે 3 દાયકા પછી અહીં મહોરમનું જુલુસ નીકળ્યું છે. આ વાતાવરણ, આ કામ કોણે કર્યું છે? આ કામ મોદીએ નથી કર્યું, આ કામ તમે કર્યું છે.

જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસમાં પીએમ મોદીની કાશ્મીરની આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ 14 સપ્ટેમ્બરે ડોડા પહોંચ્યા હતા. તેઓ અહીં પાર્ટીના ઉમેદવારોને પણ મળ્યા હતા. આ પછી બપોરે તેઓ કટરા જવા રવાના થયા હતા. અહીં તેમણે બીજી જાહેર સભાને સંબધી હતી.

Most Popular

To Top