Comments

રણોત્સવ પછી રણ સરોવર : પ્રવાસન સાથે વિકાસયાત્રાને આહ્વાન

ગુજરાતના પશ્ચિમ મધ્ય ભાગે કચ્છનું નાનું રણ ૧૨ લાખ એકરમાં ફેલાયેલ છે. રાજકોટ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદો વચ્ચે પથરાયેલ ખારી જમીનમાં સરસ્વતી,બનાસ,કંકાવટી,મચ્છુ,બ્રામ્હાણી અને રૂપેણ નદી ઉપરાંત ૧૧૦ વોકળાઓનું દરિયામાં વહી જનાર પાણી છેલ્લો મુકામ કરે છે. ૨૦૦ કીલોમીટરની ઝડપે વાહન ચાલી શકે તેવા સપાટ મેદાનમાં ૭૫ થી વધુ નાના-મોટા દિવપ રહેલા છે. બાકી ખારી મીઠી સખત માટીમાં ગાંડા બાવળનું સામ્રાજ્ય વ્યાપેલ છે.

લાખો વર્ષ પહેલાં આપણે જેને સૌરાષ્ટ્ર તરીકે જાણીએ છીએ તે ટાપુ વેસ્ટન સ્લાઈડીંગના લીધે દક્ષિણ આફ્રિકાથી છૂટો પડ્યો અને ગુજરાતની પૂર્વ પટ્ટી, સાથે જોડાતા દરિયાની સાંકડી પટ્ટી તૈયાર થઇ અને કાળક્રમે તેમાં દરિયાનો કાંપ ફસતા આજે કચ્છનું નાનું રણ જોવા મળે છે. ચત્તી રકાબી જેવા પ્રદેશમાં મે – જૂનથી ઓક્ટોબર-નવેમ્બર સુધી વરસાદી પાણી રહે છે. આથી ઘાસ અને પાણીનાં ક્ષાર આધારિત જીવન વિકસે છે અને બાકીના ૫-૭ માસ સૂકી ભો જોવા મળે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈની સમજ અને રાજકીય ઈચ્છાશક્તિવશાત્ કચ્છના મોટા રણમાં રણોત્સવ નામે પ્રવાસન સફળ રીતે વિકસ્યો છે ત્યારે હવે કચ્છના નાના રણની ભૌગોલિકતાને સમજી પ્રવાસન તરીકે રણ સરોવર વિકસાવવાની સંભાવના સ્પષ્ટ થાય છે.

અમદાવાદથી ૧૩૦ કિલોમીટર અને ભુજથી ૧૫૬ કિલોમીટરના અંતરે રહેલ નાના રણનો વિસ્તાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે આકર્ષક પ્રવાસન ક્ષેત્ર છે. અગરીયા, પઠારો, માછીમારો, જત અને રબારી સંસ્કૃતિની પરંપરા આકર્ષણ કેન્દ્ર બની શકે તેમ છે. મધ્ય અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ રાજસ્થાનમાં ૮-૧૦ ઇંચ વરસાદ પડતાં જ કચ્છના નાના રણમાં મીઠા પાણીની આવક થવા લાગે છે. રણની કાંપવાળી ચીકણી માટી એકત્ર પાણીને જમીનમાં શોષાવા દેતું નથી, પરિણામે વરસાદી સીઝનમાં ૨૫૦૦ થી ૩૦૦૦ કરોડ લીટર પાણી પ્રાકૃતિક રીતે જમા થઇ જાય છે. ખારાં-મીઠાં પાણીનાં કુદરતી તળાવના સર્જન સાથે લાખોની સંખ્યામાં ફલેમીંગો અને બીજા માઈગ્રન્ટસ પક્ષીઓ પોતાની બ્રિડીંગકોલોની વિકસાવવા પણ આવી જાય છે. જે દર્શનીય બને છે.

સાથોસાથ ૮૦૦૦ થી વધુ અગરિયા પરિવાર પારંપારિક ઢબે મીઠું પકવવા ડેરા નાખે છે. દેશની કુલ જરૂરિયાતના ૨૧% એટલે કે લગભગ ૨૮ લાખ-ટન મીઠાનું ઉત્પાદન કરી રોજી-રોટી મેળવે છે. ત્રણેક પ્રજાતિમાં ઘુડખર (ગધેડા-ઝીબ્રા-પ્રકારનું પ્રાણી) સરોવરના ભેજથી વિકસતાં ઘાસનાં મેદાનોમાં વર્ષોથી રહે છે. ૫૦૦૦ થી વધુ સંખ્યામાં ઘુડખર એશિયાની વાઈલ્ડ સેન્ચ્યુરીમાંનું એક પસંદગીદા ક્ષેત્ર બન્યું છે. ચોમાસામાં ઘુડખર આસપાસના ટાપુઓ ઉપર પ્રજનન માટે પહોંચી વન્ય વિસ્તરણ કરતા રહે છે જે પ્રવાસન માટે વધુ એક આકર્ષણ બને છે.

જો કે કચ્છ અને ગુજરાતને જોડતા સૂરજબારીના પુલ નીચેથી પસાર થતી હડકીયા ખાડીમાંથી આવતું અરબી સમુદ્રનું ખારું પાણી મીઠા પાણીના સરોવરનું આયુષ્ય ઘટાડે છે. પરંતુ સૂરજબારી પુલને બંધારામાં ફેરવી શકાય તો નાના રણના મધ્ય ભાગ સુધી પહોંચતી રૂપેણ, પુષ્પાવતી અને બનાસ નદીના છેવાડે નળ સરોવર પ્રકારે ત્રણ વિશાળ તળાવોનું સર્જન થઇ શકે. આથી કચ્છના નાના રણની પ્રાકૃતિક સ્થિતિ જાળવી રાખી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગળ વધતી ખારાશ રોકી શકાય. સવિશેષ ટીકર, નવા ઘાટીલા, જોગડ વિસ્તારમાં જમા થતું વરસાદી પાણી તળાવો તરફ ઢળી જતાં મીઠા અને મત્સ્ય ઉદ્યોગ સપ્ટેમ્બર ઓક્ટોબરથી પુનઃકાર્યાન્વિત થતો થશે. ૫૦,૦૦૦ થી વધુ અગરીયાઓની રોજી-રોટી જળવાઈ રહેશે. સ્થાનિક લોકોની વધતી આવક પ્રવાસનના માળખાગત વિકાસને ગતિ આપના૨ બનશે.

આઝાદી મળ્યા પછી પાંચ દાયકાઓ સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની પ્રજાએ દુષ્કાળ વેઠ્યા છે. વર્ષ ૧૯૮૬ ના અકાળમાં ખાસ ટેંકર ટ્રેઈનથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પાણી પૂરું પાડવું પડ્યું. મનુષ્ય અને વન્ય જીવન માટે અનિવાર્ય વરસાદી પાણી કચ્છના નાના રણમાં સહજ રીતે એકઠું થાય છે ત્યારે ઈશ્વરના આશીર્વાદ સમા ૯ લાખ કરોડ લીટર પાણીનો પ્રવાસન સાથે રચનાત્મક ઉપયોગ, સમજદારી અને સમયની માંગ બને છે. પાઈના ખર્ચમાં પર્વતનો લાભ મળે છે ત્યારે ગુજરાતની રાજકીય ઈચ્છાશક્તિ દ્વારા સરદાર સરોવર પછી એક નવા વિકાસ આયામ રણ સરોવરની સંભાવનાઓ તપાસવી રહી.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top