Business

અમે આપેલા વચનો મક્કમતાથી પાળીને જન જન સુધી વિકાસ પહોંચાડ્યો છે – દાદા

ગાંધીનગર: રાજ્ય સરકારના પ્રથમ ૧૦૦ દિવસ પૂર્ણ થવા અવસરે સાથ-સહકાર અને સેવાના ૧૦૦ દિવસ ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાનામાં નાના માનવીને પણ ”આ ગુજરાત મેં બનાવ્યું છે”ની અનૂભુતિ સાથે વિકાસની મુખ્ય ધારામાં લાવ્યા છીએ. વિકાસનો સંવાહક-સાથીદાર અને સહભાગી બનાવ્યો છે. આ અવસરે સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસ પુસ્તિકાનું વિમોચન પણ તેમણે કર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ અને દિશાદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે તેમાં સૌના સાથ, સહકાર અને પ્રજાની સેવા ભાવના નિહિત છે. પટેલે કહ્યું હતું કે , ‘ટીમ ગુજરાત’ના પ્રજાવર્ગોને જે વચનો આપેલાં તે મક્કમતાથી પાળી બતાવ્યા છે-જન જન સુધી વિકાસ પહોંચાડયો છે. ”વચન પાળ્યા છે, પાળીશુ ગુજરાતનું માન-સન્માન વધારીશુ” એમ સ્પષ્ટપણે જણાવતાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાને કંડારેલા વિકાસ પથ પર અડગ નિર્ણય કર્યાથી આપણે આગળ વધ્યા છીએ.

પ્રજાએ બે દાયકાના વિકાસમાં વિશ્વાસ-ભરોસો મુકીને અને વડાપ્રધાન મોદીના નેતૃત્વના સમર્થનથી આ વર્ષ ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન આપ્યું છે તેનો આ તકે તેમણે રૂણ સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રીએ કહયું હતું કે સમાજના છેવાડાના માનવી અંતિમ છૌરના વ્યક્તિની ચિંતા કરીને આપણે બહુ આયામી વિકાસ આયોજન પાર પાડયા છે. એટલું જ નહિ, પ્રજાહિતમાં કડક નિર્ણયો પણ લીધા છે. ભરતી પરિક્ષામાં ગેરરીતિ આચરનારા અને પેપર લીક કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહિનું વિધેયક, યાત્રાધામોમાં ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા છે તથા દરિયાઇ સુરક્ષા સુદ્રઢ કરી છે અને માદક દ્રવ્યો સામે ઝિરો ટોલરન્સથી પેશ આવી ડ્રગ્સ વિરોધી ઝૂંબેશ પણ સફળતાથી આદરી છે.

આ સરકાર જનસેવાની સંવેદનશીલતાથી સૌના હિતને અહેમિયત આપે છે તેની વિસ્તૃત ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વ્યાજખોરીના દૂષણથી નાના-ગરીબ લોકોને મુક્તિ અપાવવા રાજ્યમાં ૪ હજાર લોકદરબાર યોજ્યા છે અને પી.એમ. સ્વનિધિ અન્વયે રપ૦ કરોડથી વધુની રકમ લોન તરીકે આપી આવા જરૂરતમંદ લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે.
તેમણે કહયું હતું કે આરોગ્ય, શિક્ષણ અને સલામતિ જેવા પાયાના ક્ષેત્રોમાં લોકહિત કામો સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૩૦ હજાર આવાસો, શ્રમિકોના વેતનમાં રપ ટકાનો વધારો, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાનો વધુ પાંચ લાખ લોકોને લાભ જેવા ગરીબ કલ્યાણલક્ષી નિર્ણયોથી આ સરકારે જે કહેવું તે કરવું ની નેમ સાકાર કરી છે.

ગુજરાતને ડબલ એન્જીન સરકારના બેવડા વિકાસની નવી ગતિ મળી છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૧૦૦ દિવસમાં ૯૦ હજાર કરોડ રૂપિયાના ઔદ્યોગિક રોકાણો માટેના એમ.ઓ.યુ થયા છે તેમજ ગ્રીન ગ્રોથને વેગ આપતાં કચ્છમાં ૪૦ હજાર કરોડનો ગ્રીન એમોનિયા પ્લાન્ટ સ્થાપવા માટે પણ એમ.ઓ.યુ થયેલા છે.

મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલે આ અવસરે આગામી પાંચ વર્ષમાં વિકસીત-ઉન્નત-આત્મનિર્ભર ગુજરાતનું વિકાસ વિઝન પ્રસ્તુત કરતાં કહ્યું કે, ભારતને પાંચ ટ્રિલીયન યુ.એસ. ડોલરની ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનના સંકલ્પમાં ગુજરાત અગ્રીમ યોગદાન આપવા સંકલ્પબદ્ધ છે. ગુજરાતે આવનારા પાંચ વર્ષમાં સર્વગ્રાહી વિકાસનો રોડમેપ પાંચ સ્તંભના આધારે અત્યારથી જ તય કરી લીધો છે. આ પાંચ સ્તંભમાં ગરીબ અને જરૂરતમંદ વર્ગોની પાયાની સુવિધા-સોશિયલ સિક્યુરિટી માટે બે લાખ કરોડની જોગવાઇ બજેટમાં કરી છે. આ ઉપરાંત હ્યુમન રિસોર્સીસ ડેવલપમેન્ટ માટે ૪ લાખ કરોડ, વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવા માટે પાંચ લાખ કરોડ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે બે લાખ કરોડ અને ગ્રીન ગ્રોથ માટે બે લાખ કરોડ રૂપિયા સુનિશ્ચિત કર્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

પટેલે જણાવ્યું કે, ગુજરાત નીતિ આયોગના અહેવાલ અનુસાર ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમે છે અને આપણે દેશના જી.ડી.પી માં ૮.૩૬ ટકાના હાલના યોગદાનને ૧૦ ટકાએ લઇ જવા પણ પ્રતિબદ્ધ છીએ. મુખ્ય સચિવ રાજકુમારે આ પ્રસંગે સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ચોક્કસ સમય મર્યાદામાં છેવાડાના માનવી સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસ અન્વયે લક્ષ્યાંકો સિદ્ધ કરીને વિકાસ પર્વ ઉજવાઇ રહ્યું છે. રાજ્યના તમામ વિભાગોની પ્રજાલક્ષી વિકાસ યોજનાઓ માટે નીડ બેઝ્ડ પ્લાનીંગથી વિકાસની ખૂટતી કડીઓ અંગે અસરકારક આયોજન કરીને રાજ્ય સરકાર સર્વસમાવેશક વિકાસનો ધ્યેય સિદ્ધ કરવા આગળ વધી રહી છે તેમાં વહીવટીતંત્રના સંપૂર્ણ સહયોગની ખાતરી તેમણે આપી હતી.

Most Popular

To Top