મહીસાગરમાં RTE અંતર્ગત 30મીથી પ્રવેશ ફોર્મ ભરાશે

ખાનપુર : મહિસાગર જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઇ) અંતર્ગત વર્ષ 2022-23માં નબળા અને વંચીત જુથના બાળકોને વિનામૂલ્યે ધો.1માં પ્રવેશ માટે 30મી માર્ચથી 11મી એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામુલ્ય ધો.1માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1લી જૂન, 2022ના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે. મહીસાગર જિલ્લામાં વર્ષ 2022-23 માં 79 શાળાઓમાં 300 જગ્યાઓ પર આરટીઈ એકટ અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર છે. બાળકના વાલી www.rte.orpgujarat.com  વેબસાઈટ પર 30મી માર્ચ 2022થી 11મી એપ્રિલ, 2022 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂર જણાયે માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્પ લાઈન નં. 02674 -255590 પર કચેરી સમય દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ, વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ કોઇ પણ જગ્યાએ જમા કરવાનું રહેશે નહીં. પ્રવેશ કન્ફર્મ ન થાય ત્યાં સુધી વેબસાઇટ જોતા રહેવું. આ અંગે મોબાઈલ નંબર પર રાજય કક્ષાએથી મેસેજથી જાણ કરવામાં આવશે માટે વાલીઓએ પોતાનો જ નંબર આપવો. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહીસાગરએ જણાવાયું છે.

Most Popular

To Top