મને મારવી હોય તો મારી નાખે, હું છુટાછેડા નહીં આપું, આ ઘરમાંથી મારી લાશ જ નીકળશે

આણંદ : રેકર્ડ બ્રેક માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો ઘરકંકાસ હવે છડેચોક આવી ગયો છે.ડામાડોળ થતી રાજકીય કારકિર્દી હજુ સ્થિર થતી નથી ત્યાં તેમના પત્ની રેશમાબહેને છેલ્લા કેટલાક સમયથી તેમની સામે મોરચો માંડ્યો છે. જેમાં તેઓ રવિવારની મોડી રાત્રે અમેરિકાથી આવીને સીધા ભરતસિંહના ઘરે પહોંચતાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેના પગલે ઉગ્ર વાતાવરણ બન્યું હતું. બીજા દિવસે પોલીસ સુરક્ષા સાથે તેઓએ ગૃહપ્રવેશ કર્યો હતો. જોકે, આ બધા હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ભરતસિંહ ક્યાંક જતા રહ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ આ મુદ્દો ચરોતરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

કોંગ્રેસના મોટા ગજાના નેતા ભરતસિંહ સોલંકીનો ઘરકંકાસ હવે કોઇનાથી છુપા રહ્યો નથી. છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી ચાલતો પત્ની રેશમાબહેન સાથેનો વિવાદ નિત નવા સ્વરૂપે બહાર આવતો રહે છે. આ વિવાદ ભરતસિંહની રાજકીય કારકિર્દી અને અંગત જીવન ઉપર ઘેર પ્રત્યાઘાતો ઉભા કરી રહ્યા છે. આ વિવાદ વચ્ચે રેશ્માબહેન અમેરિકા જતાં રહ્યાં હતાં. જ્યાંથી રવિવારે રાત્રે તેઓ પરત આવ્યા હતા અને સીધા બોરસદના દેવર્લી હિલ્સ ખાતે આવેલા ભરતસિંહના ઘરે પહોંચી ગયાં હતાં. જોકે, ભરતસિંહે તેમને કાઢી મુકતા હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ ડ્રામા સોમવાર બપોર સુધી ચાલ્યો હતો. રેશ્માબહેને ગૃહપ્રવેશ માટે પોલીસ સુરક્ષા માંગી હતી, જે સુરક્ષા મળતાં બપોરે તેઓએ ગૃહપ્રવેશ કર્યો હતો. આ મુદ્દો ગુજરાત સહિત દિલ્હીના રાજકીય આલમમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટના અંગે રેશ્માબહેનના વાયરલ વિડીયોમાં તેઓએ હુંકાર કર્યો હતો કે, હું ભરતસિંહને ક્યારેય છુટાછેડા નહીં આપું, મારી નાંખવી હોય તો મારી નાંખે, આ ઘરમાંથી મારી લાશ જ બહાર નીકળશે.

જાહેર નોટિસના પગલે ભરતસિંહની રાજકીય કારકિર્દી અને આબરૂની ફજેતી કરી
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો પત્નિ રેશ્મા સોલંકી સાથેનો વિવાદ રાજ્યમાં ચર્ચા કેન્દ્ર બની રહ્યો છે. તેમના પરસ્પર પ્રેમથી લઈ લગ્ન અને દામ્પત્ય જીવનની અને ત્યારબાદના એક બીજા ઉપર કરાતા આક્ષેપ પ્રતિઆક્ષેપ તેમજ ઝઘડા અને કોર્ટ નોટીસ, જાહેર નોટીસના પગલે ભરતસિંહની રાજકીય કારકિર્દી અને આબરૂને ફજેતી કરી મૂકી છે. હાલ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને જૂજ મહિનાઓનો સમય બાકી રહ્યો છે અને કોંગ્રેસ પ્રદેશ અને કેન્દ્રીય નેતાગીરી ચૂંટણી રણનીતિ કાર્યક્રમોના આયોજનોમાં વ્યસ્ત બની છે ત્યારે ભરતસિંહ સોલંકીની પત્નિ રેશ્મા સોલંકીનો નવો વીડિયો વાયરલ
થયો છે.

મારા પરિવારની આબરૂ ઉછાળવામાં આવી છે : રેશ્મા સોલંકી
આ અંગે રેશમા સોલંકી વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું કે, ખોટી સ્ટોરી ઉભી કરી મને બદનામ કરવામાં આવી છે. ખોટી જાહેર નોટીસ આપવામાં આવી છે, તેમાં પરિવારની આબરૂ ઉછાળવામાં આવી છે. મારા કાકા, પિતા, માતા, ભાઈ – બહેનને સામાજિક ક્ષેત્રે નુકશાન થયું છે. તેમણે પોતાના સ્વાર્થનું જ વિચાર્યું છે. એ દરમિયાન મને ધાક – ધમકી મળતી હતી. જાનનું જોખમ હતું. આથી, અમેરિકા જતી રહી હતી. બાદમાં પરત આવ્યા બાદ બે – ત્રણ વખત ઘરમાં આવી તો મને ધક્કો મારી કાઢી મુકતાં હતાં. તું અહીં આવીશ તો મારી નાખીશ. તેવી ધમકી આપતાં હતાં. નાછૂટકે કોર્ટનો સહારો લેવો પડ્યો. આણંદ એસપી પાસે રક્ષણ માંગવું પડ્યું હતું. મેં મારો દાવો દાખલ કર્યો છે. હું હિન્દુસ્તાનની નારી છું. મારા પતિ સાથે જ રહીશ. છુટાછેડા ક્યારેય નહીં આપું. જેવી હું ઉભી આવી છું, તેવી જ રીતે આ ઘરમાંથી લાશ જશે. તેને મારી નાંખવી હોય તો મારી નાંખે. તેને જે કરવું હોય તે કરે.

Most Popular

To Top