Business

ઊડતો મચ્છર જોઈને

તમે ઊડતો મચ્છર જોયો  છે?’— આ એવો સવાલ છે કે ‘કાશ્મીરમાં હિંદુ વિરોધી/ દિલ્હીમાં શીખ વિરોધી હિંસા વખતે તમે ક્યાં હતા?’ મતલબ, આ એવો પ્રશ્ન પથ્થર છે, જે જવાબ મેળવવા માટે નહીં, પ્રશ્ન ફેંકવા માટે પૂછાય છે. ઊડતો મચ્છર તમે જોયો હોય તો રાજી થવાની જરૂર નથી, ને ન જોયો હોય તો દુઃખી થવાની જરૂર નથી. અંગ્રેજીમાં કહેણી છે કે કેકના અસ્તિત્વનો પુરાવો તેને ખાઈને જ મેળવી શકાય. એવી રીતે, ઊડતો મચ્છર જોયો હોય કે ન જોયો હોય, તેના હોવાનો પુરાવો તેના ચટકા થકી મેળવી શકાય. તમે ઊડતો હાથી જોયો હોય તો બરાબર છે. બાકી, ઊડતો મચ્છર જોવામાં શી ધાડ મારવાની? હા, મચ્છરને ઊડતાં પહેલાં ડ્રાઇવિંગ (એટલે કે ફ્લાઇંગ) લાઈસન્સ લેવું પડતું હોય અને તેના માટે હવામાં આઠડો પાડવો પડતો હોય તો થાય કે, તમે જોયેલો મચ્છર સાયબર સેલનો કોઈ ઉપદ્રવી મચ્છર નથી, પણ ‘સ્કીલ ઇન્ડિયા’ જેવી કોઈ સ્કીમ હેઠળ ઉડ્ડયનનો પરવાનો મેળવ્યા પછી, આત્મનિર્ભરતાની રાષ્ટ્રિય ઝુંબેશના ભાગરૂપે બહાર પડેલો, ભણેલો તો નહીં પણ ગણગણેલો મચ્છર છે. ઘણા મચ્છરદ્વેષીઓ એવું માને છે કે મચ્છરને માણસજાત સાથે જૂની અદાવત છે એટલે તે માણસને ડંખ મારીને, શબ્દાર્થમાં માણસનું લોહી પીને બદલે છે પરંતુ એ વાત રાજકીય પક્ષો દ્વારા બે જૂથો વચ્ચેની ખાઈ પહોળી કરવા માટે અપનાવાતી તરકીબ જેવી છે.

હકીકતમાં મચ્છર મનુષ્ય સિવાયનાં પ્રાણીઓને પણ કરડે છે પરંતુ તે પ્રાણીઓ માણસની જેમ (આવો લેખ) લખી કે બોલી શકતાં નહીં હોવાથી તેમની માણસદ્વેષી તરીકેની છાપ દૃઢ બને છે અને ઇમેજ મેનેજમેન્ટ માટે એજન્સી રોકવાનો મચ્છરોમાં હજુ રિવાજ પડ્યો લાગતો નથી. ઓફિસમાં કે ઘરમાં બેઠકની આસપાસ ઊડતાં મચ્છરો જોઈને કોઈ પરંપરા પ્રેમીને થાય છે કે તે કેટલું અંતર કાપીને આવ્યા હશે? તેમને અતિથિ ગણીને ‘આવો, બેસો, ચા-પાણી કરો’—એવો કોઈ વિવેક કર્યા વગર તેમની હત્યાના પ્રયાસોમાં લાગી જવું કેટલું શોભાસ્પદ કહેવાય? આપણી સંસ્કૃતિનો જરાય વિચાર નહીં કરવાનો? મચ્છરો ગમે ત્યાં જઈ શકે છે- ભલભલા સત્તાધીશોની આસપાસ ઊડી શકે છે.

સત્તાધીશોની આસપાસ બણબણતા ઘણા લોકો પણ વિશ્લેષણની દૃષ્ટિથી જોતાં મચ્છર જેવા લાગી શકે એ જુદી વાત છે.  VVIPઓની ઝેડ પ્લસ સુરક્ષા પણ મહાનુભાવોની આસપાસ ફરતાં મચ્છરોનું શું ઉખાડી લેવાની હતી? સાંસ્કૃતિક અસ્મિતાના રાજકીય ઘૂંટડા પીનારાં મચ્છર એવો દાવો કરી શકે છે કે તેમને ફુદાં ટાઇપ ન સમજી લેવાં. એ તો ખરેખર ગરુડના વંશજ છે. ઉત્ક્રાંતિ થયા પછી ધીમે-ધીમે તેમના પૂર્વજો ઘસાતા ગયા અને છેવટે આ સ્થિતિ આવી. અલબત્ત,આવી હળવી અવસ્થાને કારણે જ તે ટકી ગયા અને ટકી રહ્યા છે. આવું કોઈએ કહ્યું નથી, પણ વોટ્સએપના સંસારમાં આવું અવતરણ ડાર્વિનથી માંડીને ડમડમબાબા સુધીના કોઈ પણ નામે ચડાવી શકાય છે.

ભક્તિની જેમ મચ્છરના ઉડ્ડયનના બે પ્રકાર હોય છેઃ સકામ અને નિષ્કામ. સકામ ઉડ્ડયન કરનારાં મચ્છરો ઘણું ખરું સામાજિક હોય છે. તે જાણે છે કે તે માણસને નહીં કરડે તો તેમને સમાજમાં મોં બતાવવા જેવું નહીં રહે એટલે તે ઊડતાં દેખાય તેની થોડી વારમાં માણસના શરીરના કોઈ ભાગ પર ખંજવાળ શરૂ થાય છે. ત્યાં હાથ ફેરવતાં માલૂમ પડે છે કે આ તો કોઈ મોરલો (કે મચ્છર) કળા કરી ગયો. નિષ્કામ ઉડ્ડયન કરનારાં મચ્છર જરા વધારે ઊંચી આધ્યાત્મિક ભૂમિકા ધરાવે છે. નિરંજન ભગતની કવિતા ‘હું તો બસ ફરવા આવ્યો છું’ ની જેમ તેમની ફિલસૂફી હોય છેઃ હું ક્યાં આને કે તેને કરડવા આવ્યો છું? હું તો બસ ઊડવા આવ્યો છું. મચ્છર આસપાસ ઊડતો હોય ત્યારે માણસની પહેલી વૃત્તિ તેને અવગણવાની થાય છે. માણસ વિચારે છે કે ‘આ તો મચ્છર છે—શબ્દાર્થમાં મચ્છર. એમ કંઈ તેને ભાવ થોડો અપાય? આવા કંઈક માનવમચ્છરોને હું ગણકારતો નથી તો આ મચ્છરની શી વિસાત?’ પણ ધીમે ધીમે મચ્છર નજીક આવે છે અને બોમ્બ નાખતાં પહેલાં શહેર પર એક ચકરાવો મારી લેતા બોમ્બર વિમાનની જેમ, તે કશું પણ કર્યા વિના કાનની નજીકથી પસાર થઈ જાય છે.

 તેનાથી માણસને ખીજ ચડે છે અને થાય છે કે આને તો હું મચ્છરની જેમ મસળી નાખું. (કારણ કે એ મચ્છર જ છે) પણ આવાં મચ્છરોની સામે હાથ ઉઠાવવો એ શાન કે ખિલાફ ન કહેવાય? પ્રચંડ ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો એમ પણ માની શકે છે કે સામાન્ય રીતે ગુરુઓ ગુરુમંત્ર આવી રીતે કાનમાં આપતા હોય છે. તો શું મચ્છર માનવજાતને કોઈ ગુરુમંત્ર તો આપવા માગતો નથી ને? ક્યાંક એવું ન થાય કે તે કોઈ ઉપયોગી જીવનદર્શન મંત્ર તરીકે આપવા માગતો હોય અને માણસને તેની ભાષા ન સમજાતી હોય. પરંતુ થોડી વારમાં સ્પષ્ટ થઈ જાય છે કે મચ્છરને શરૂઆતમાં અવગણવામાં ભૂલ થઈ હતી. તેનું એ જ વખતે ઠંડા કલેજે એન્કાઉન્ટર કરી નાખ્યું હોત તો કદાચ… આ એવો વળાંક છે કે જ્યાંથી કેટલાક પોલીસકર્મીઓએ સાહેબોને ખુશ કરવા માટે કરેલાં એન્કાઉન્ટરને વાજબી ઠરાવવાની દિશામાં હોંશભેર આગળ વધી શકાય છે.

Most Popular

To Top