National

યુપીની વસતી કરતા બે ગણા લોકોએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું, CM યોગીએ કહ્યું- ‘આ નવું ઉત્તર પ્રદેશ’

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025 અંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, આ નવું ઉત્તર પ્રદેશ છે 25 કરોડની વસ્તી છે અને ગઈકાલ મંગળવાર સુધીમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં 50 કરોડ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ સમાજવાદી રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું હતું.

બાગપતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, આજે બુધવારે માઘી પૂર્ણિમાના શુભ અવસર કરોડો લોકો પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે. આ નવું ઉત્તર પ્રદેશ છે, જેની વસ્તી 25 કરોડ છે અને ગઈકાલ સુધીમાં પ્રયાગરાજમાં 50 કરોડ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. પરંતુ કેટલાક લોકોને આ કામ ગુપ્ત રીતે કરવાની આદત હોય છે.

તેમણે કોરોના વાયરસની રસી લીધી પણ દુનિયાને રસી ન લેવાની સલાહ આપતા રહ્યા. તેમણે ગુપ્ત રીતે સંગમમાં ડૂબકી લગાવી અને પાછા આવ્યા પણ જનતાને ડૂબકી ન લગાવવાનું કહી રહ્યા છે.

માઘી પૂર્ણિમાના દિવસે ભક્તોની ભીડ ઉમટી
આજે માઘી પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. સંગમ કિનારાની બંને બાજુ ફક્ત ભક્તો જ દેખાય છે. માઘ પૂર્ણિમાના દિવસે લોકોનો ઉત્સાહ એટલો હતો કે 1 કરોડ લોકોએ વહેલી સવારે સંગમમાં ડૂબકી લગાવી હતી. આ આંકડો હવે 1.83 કરોડને વટાવી ગયો છે.

આજે માઘી પૂર્ણિમાના દિવસે નાગા સાધુઓના અખાડાઓએ સૌથી પહેલા સ્નાન કર્યું. ત્યાર બાદ સંતોએ ડૂબકી લગાવી. આ પ્રક્રિયા પછી જ સામાન્ય ભક્તોએ સ્નાન કરવાનું શરૂ કર્યું. આજે સંગમ કિનારે સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top