નવસારીના વિજલપુર વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં સવારે 9 કલાકે સુરત મહાનગર પાલિકાના અધિકારીનો 5 વર્ષના પુત્રનું લિફ્ટમાં ફસાઈ જતા મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા નિરવ એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતક બાળકનું નામ સાર્થક વિપુલ બારીયા હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષ હતી. સાર્થક એપાર્ટમેન્ટના બીજા માળે લિફ્ટમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયો હતો.
નવસારીના નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજા પર લોક મારી રહી હતી ત્યારે માતા આવે તે પહેલાં જ બાળક સાર્થકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી. 5 વર્ષીય સાર્થક લિફ્ટમાં ફસાઈ ગયો હતો. બાળકને બચાવવા માટે નવસારી ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. મિસ્ત્રી પાસેથી કટર મગાવી લિફ્ટ કાપવી પડી હતી. આશરે દોઢ કલાકની જહેમત બાદ બાળકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ડોક્ટરોએ તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યું હતું. મૃત બાળકના પિતા સુરત મહાનગર પાલિકામાં અધિકારી તરીકે ફરજ બજાવે છે.
શું ઘટના બની?
નીરવ એપાર્ટમેન્ટની લિફ્ટ વર્ષો અગાઉ વપરાતી લોખંડની જાળીવાળી લિફ્ટ છે. તેની આગળ લાકડાનો દરવાજો છે. બાળકે લાકડાનો દરવાજો પુલ કરી અંદર ગયો. દરવાજાનો તેને ધક્કો લાગ્યો અને જાળી બંધ થાય તે પહેલાં જ લિફ્ટ શરૂ થઈ ગઈ હતી. તે ઉપર જતી રહી હતી. બાળકનો કમરનો ભાગ બહાર અને શરીર લિફ્ટની અંદર ફસાઈ ગઈ હતી. લિફ્ટમાં સેન્સર કામ કરતું નથી. કદાચ કોઈએ ઉપરના માળે લિફ્ટનું બટન દબાવ્યું હતું જેના લીધે લિફ્ટ ચાલુ થઈ અને અકસ્માત બન્યો.