નવી દિલ્હી, તા. 20, (પીટીઆઇ) દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40,953 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 111 દિવસમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય શનિવારે જાહેર કરેલ આંકડા અનુસાર, દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો 1,15,55,284 થયો છે.
દેશમાં સતત દસ દિવસથી કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,88,394 થઈ છે. જે કુલ ચેપના 2.49 ટકા છે, જ્યારે રિકવરી રેટ ઘટીને 96.12 ટકા થયો છે.
ભારતમાં માત્ર ત્રણ દિવસમાં એક લાખથી વધુ કેસ નોંધાયા છે. સવારે 11 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 111 દિવસ બાદ શનિવારે (40,953) સૌથી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં મૃત્યુદર વધીને 1,59,558 થયો છે.
આ અગાઉ 29 નવેમ્બર 2020ના રોજ એક દિવસમાં કોરોનાના નવા 41,810 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાને માત આપનાર લોકોનો આંકડો વધીને 1,11,07,332 થયો છે. જ્યારે કોરોના સામે મૃત્યુદર 1.38 ટકા નોંધાયો છે.
આઇસીએમઆર અનુસાર, શુક્રવારે 10,60,971 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધી કુલ 23,24,31,517 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોનાના કારણે થયેલા નવા 188 મૃત્યુમાં મહારાષ્ટ્રના 70, પંજાબના 38 અને કેરળના 17 લોકોનો સમાવેશ થાય છે.