SURAT

સુરતમાં ચોરીના હીરા ખરીદનાર વાઢેર પરિવારના 4 લોકોએ કર્યો આપધાતનો પ્રયાસ, એકનું મોત

સુરત: હીરા ચોરીના ગુનામા પકડાયેલા કર્મચારી પાસેથી ચોરીના હીરા ખરીદનાર વાઢેર પરિવારના ઘરમાંથી મહિધરપુરા પોલીસે ચોરીના 50 જેટલા હીરા કબજે કરતા પરિવારના સભ્યો ગભરાયા હતા અને મોટા ભાઈ અને ભાભીએ પોલીસ સ્ટેશનમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજુ આરોપીના ઘરમાં આજ પરિવારની અન્ય બે મહિલાઓએ પણ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી એક જ પરિવારના ચારેય સભ્યોને તાત્કાલિક સારવાર માટે પહેલા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું હતું.

  • હીરા ચોરી પ્રકરણમાં આપઘાતનો પ્રયાસ કરનાર વાઢેર પરિવારના ચાર પૈકી એકનું મોત
  • આરોપીની પત્ની, મોટા ભાઈ, ભાભી અને ભાભીની માતાએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો

બનાવની વિગતો એવી છેકે, મહિધરપુરા વસ્તાદેવડી રોડ ટોરન્ટ પાવરની પાસે આવેલા શીવમ જ્વેલર્સમાં કામ કરતા કર્મચારી વિપુલ દશરથજી મેવાડિયા (રહે.બહુચરાજી નગર સોસા. હરીઓમ મીલ પાસે,વેડરોડ) એ કંપનીમાં 65 લાખ રૂપિયાના હીરાની ઉચાપત કરી હતી. તેને 5 ઓગસ્ટના રોજ કંપનીમાંથી હીરાનુ એક પેકેટ તૈયાર કરવા માટે આપવામાં આવ્યું હતું. જેની કિંમત 65 લાખ થતી હતી. જો કે વિપુલ મેવાડિયાએ પેકેટમાંથી હીરા કાઢી લીધા હતા અને ખાલી પેકેટ મેનેજરને પકડાવી મારા કાકાનો દીકરો હોસ્પિટલ દાખલ છે જવું પડશે તેમ કહી ભાગી ગયો હતો.

બાદમાં હીરાનુ પેકેટ ખાલી હોવાનુ જણાતા મેનેજર સચિન નભોયાએ વિપુલ મેવાડિયા સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ વિપુલ મેવાડિયાની ધરપકડ કરી હતી અને પુછપરછમાં તેણે કબુલ્યુ હતુ કે પોતાની પાસેના ચોરીના હીરા દીલીપ કરશન પ્રેમજી વાઢેર (રહે. દીનદયાળ સોસાયટી, પાલનપુર જકાતનાકા, મુળ રહે.તણસાગામ, ઘોઘા,જી.ભાવનગર) અને તેના નાનાભાઈ ગૌતમ ઉર્ફે ગોવુ ઉર્ફે ગવો કરશન વાઢેરને અમુક હીરા વેચ્યા હતા. મહિધરપુરા પોલીસની તપાસમાં દીલીપ વાઢેર અને ગૌતમના નામ ખુલ્યા હતા અને પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી હતી.

પોલીસે મોડીરાત્રે ત્રણ વાગ્યા સુધી દિલીપ અને ગૌતમના ઘરે સર્ચ કર્યા બાદ 50 જેટલા હીરા કબજે કર્યા હતા. જેના કારણે પરિવારના સભ્યો ગભરાયા હતા અને‌ દિલીપ અને ગૌતમનો મોટો ભાઈ જેન્તી વાઢેર (ઉ.વ.35)ને પણ પોલીસે સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યાે હતો. જેથી ‌જેન્તી અને તેની પત્ની કવિતા બુધવારે બપોરે મહિધરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓ અગાઉથી પોતાની સાથે ઝેર લઈને આવ્યા હતા. પોલીસ કશુ પુછે તે પહેલા જ પોલીસ સ્ટેશનમાં બંનેએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જ્યારે અન્ય બે જણાંએ ઘરે ઝેર પીધું હતું. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જ્યાં સારવાર દરમિયાન પ્રેમીલાબેન ભીખુભાઈ ગોહિલનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top