ગાંધીનગર: ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લાં પાંચ વર્ષમાં 37%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે, તેવું રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ વર્ધનસિંહે જણાવ્યું હતું.
શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની વસતીને વધારવા અને લાંબા ગાળા માટે તેને ટકાવવા માટેની મુખ્ય પ્રજાતિઓ જેમ કે હરણ અને સાબરનાં સંવર્ધન કેન્દ્રોને વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યાં છે. શાકાહારી પ્રાણીઓનાં વસતી વધારાનાં વલણો પર નજર રાખવા અને વિસ્તારમાં શિકાર માટે પ્રાણીઓ ઉપલબ્ધ બની રહે એ સુનિશ્ચિત કરવા માટે પદ્ધતિસરનું વસતી મૂલ્યાંકન કરવામાં આવે છે. સાબરનાં શિકાર માટેનાં સંવર્ધન કેન્દ્ર ક્રાંગસ, વડવાંગડા, આંબરડી, કિલેશ્વર-1, કિલેશ્વર-2, રામપરા, કરજડા ખાતે અને હરણના શિકાર માટેનાં સંવર્ધન કેન્દ્રો સતવીરડા અને રામપરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યાં છે.
પરિમલ નથવાણી ગુજરાતના ગીરમાં સિંહોના શિકારલાયક એવાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા, સિંહોના વિચરણ વિસ્તારોની આસપાસ પૂરતા શિકારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પગલાં, સિંહોની વધતી જતી સંખ્યા અને ગીરની બહાર તેમના સ્થળાંતરને પહોંચી વળવા માટે ગીર અને તેની આસપાસ તૃણાહારી પ્રાણીઓ માટે કોઈ સંવર્ધન કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે કે કેમ અને સિંહોના માનવ વિસ્તારોમાં જવાના બનાવો ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને રોકવા માટે લેવામાં આવેલાં પગલાંની વિગતોના પેટા પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, સિંહોના માનવ વિસ્તારોમાં જવાની ઘટનાઓને ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના ઘર્ષણને રોકવા માટે ઘણાં મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયાં છે.
જેમ કે, ઊભા પાકનાં ખેતરોમાં જંગલી પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે સૌર સંચાલિત ઇલેક્ટ્રિક ફેન્સ, બાયો-ફેન્સિંગ, બાઉન્ડ્રી વોલ વગેરે જેવા અવરોધો ઊભા કરવા, પસંદગીના સિંહોની હિલચાલ અને વર્તનની પેટર્નનું મૂલ્યાંકન કરવા માટે રેડિયો કોલરિંગ તેમજ સંઘર્ષ વગેરેના કિસ્સામાં માનવ વસતીવાળા વિસ્તારોમાંથી પ્રાણીઓને ખસેડવા માટે ટ્રેકર્સ અને બચાવ ટીમો તૈનાત કરવી. તદુપરાંત સંરક્ષિત વિસ્તારો અને સિંહોના અન્ય વસવાટ વિસ્તારોમાં તેમના વસવાટની સ્થિતિમાં સુધારણાનાં કામો હાથ ધરવામાં આવે છે. માનવ ઇજાઓ/જાનહાનિ તેમજ પશુઓનાં મૃત્યુ માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
