National

મુંબઈથી ન્યૂયોર્ક, જેદાહ અને મસ્કત જતી 3 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ

નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે. આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી ત્યાર બાદ ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1275 મુંબઈથી મસ્કત જઈ રહી હતી, જ્યારે ઈન્ડિગો ફ્લાઈટ 6E 56 મુંબઈથી જેદ્દાહ જઈ રહી હતી બંનેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવી હતી.

ઈન્ડિગોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ વિમાનોને બોમ્બની ધમકી મળતા જ સુરક્ષા પ્રોટોકોલ મુજબ બંનેને તરત જ એરપોર્ટથી અલગ અલગ વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા. એરક્રાફ્ટને અલગ જગ્યાએ પાર્ક કરવાનો હેતુ મુસાફરો અને એરપોર્ટના બાકીના ભાગને સંભવિત જોખમોથી સુરક્ષિત રાખવાનો હતો.

પ્રવક્તાએ કહ્યું કે SOP હેઠળ ફરજિયાત સુરક્ષા તપાસ તરત જ શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટ સુરક્ષા ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સંબંધિત એજન્સીઓ પ્રક્રિયામાં સામેલ હતી. વિમાનોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈપણ સંભવિત ખતરાને ટાળી શકાય. સુરક્ષા તપાસ દરમિયાન તમામ મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

ઈન્ડિગોએ કહ્યું છે કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને મુસાફરોને કોઈ નુકસાન ન થાય તે માટે દરેક પગલા લેવામાં આવી રહ્યા છે. એરલાઇન્સ અને એરપોર્ટ સ્ટાફ દ્વારા મુસાફરોને યોગ્ય માહિતી અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા દળોએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ધમકી ક્યાંથી અને કોણે આપી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સીઓ એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે આ ધમકી પાછળ કોઈ ખરો ખતરો છે કે નહીં.

તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકીના કારણે હોબાળો મચી ગયો હતો. પ્લેનને ઝડપથી દિલ્હી તરફ વળી દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ મામલે એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે 14 ઓક્ટોબરે મુંબઈથી જોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડતી ફ્લાઈટ AI119ને વિશેષ સુરક્ષા ચેતવણી મળી હતી. સરકારની સુરક્ષા નિયમન સમિતિની સૂચના પર તેને દિલ્હી તરફ વાળવામાં આવી હતી. તમામ મુસાફરો ઉતરી ગયા છે અને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ પર છે. આવો જ એક કિસ્સો 22 ઓગસ્ટે પણ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે એર ઈન્ડિયાના અન્ય એક વિમાનમાં બોમ્બની ધમકી મળી હતી. આ ફ્લાઈટ મુંબઈથી તિરુવનંતપુરમ પહોંચી હતી. આ પછી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

Most Popular

To Top