Gujarat

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં 182 પાનાની ચાર્જશીટ

અમદાવાદ : સુરેન્દ્રનગરમાં સામે આવેલા અંદાજે 1500 કરોડના જમીન એન.એ. કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) દ્વારા અમદાવાદની સ્પે. કોર્ટ સમક્ષ 182 પાનાની વિગતવાર ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટ રજૂ થતાં જ સમગ્ર કૌભાંડ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઈડીએ પોતાની તપાસમાં જમીનને એન.એ. (નૉન-એગ્રીકલ્ચર) કરવાની મંજૂરી અપાવવા માટે સુનિયોજિત રીતે લાંચ વસૂલાત થતી હોવાનો આક્ષેપ કર્યો છે.

ઈડીની તપાસ મુજબ જમીન એન.એ. કરવાની પ્રક્રિયામાં ચોક્કસ દરે લાંચ લેવામાં આવતી હતી અને તે રકમની અંદરખાને વહેંચણી પણ નક્કી કરવામાં આવી હતી. ઈડીના જણાવ્યા અનુસાર વસૂલાત થયેલી રકમમાંથી જિલ્લા કલેક્ટરને 50 ટકા, નિવાસી અધિક કલેક્ટરને 25 ટકા, મામલતદારને 10 ટકા, નાયબ મામલતદારને 10 ટકા અને ક્લાર્કને 5 ટકા હિસ્સો આપવામાં આવતો હતો.આ એનએ કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, મામલતદાર મયુર દવે, એન.એ. શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને એન.એ. શાખાના કારકુન મયુરસિંહ ગોહિલની સંડોવણી હોવાનું ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યું છે.

ઈડીની તપાસમાં ખુલ્યું છે કે જમીન એન.એ. માટે આવતી અરજીઓને ઝડપથી આગળ વધારવા માટે આરોપીઓએ સુવ્યવસ્થિત ગોઠવણી કરી હતી. જો અરજદારો પાસેથી લાંચ ન મળે તો તેમની અરજીઓને ઈરાદાપૂર્વક લટકાવી રાખવામાં આવતી હતી. અનેક વખત સ્ટેમ્પ ડ્યૂટી, માલિકી હક્ક અથવા અન્ય કાનૂની વાંધા બતાવીને અરજીઓને નકારી કાઢવાની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી.

ચાર્જશીટ મુજબ મયુરસિંહ ગોહિલ, ચંદ્રસિંહ મોરી અને જયરાજસિંહ ઝાલા સમગ્ર લાંચ વ્યવહારનો હિસાબ સંભાળતા હતા. હિસાબી વિગતો વ્હોટ્સએપ મારફતે તેમજ પ્રિન્ટઆઉટ સ્વરૂપે અધિકારીઓને આપવામાં આવતી હતી. ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ રોકડ રકમ અધિકારીઓને પહોંચાડવામાં આવતી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. તપાસ દરમિયાન ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી રૂા. 67.50 લાખની રોકડ , એનએ સંબંધિત જમીનના દસ્તાવેજો, હિસાબી નોંધપોથી અને ડિજિટલ રેકોર્ડ સહિત મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા. ઈડીના જણાવ્યા મુજબ 5 ડિસેમ્બર 2024 થી 25 નવેમ્બર 2025 દરમિયાન જ લાંચરૂપે વસૂલાત થયેલી રકમ 9.70 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.

આ પહેલા ઈડી દ્વારા સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અટકાયત કરવામાં આવી હતી. સાથે જ તત્કાલીન સિટી મામલતદાર મયુર દવે, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની સંડોવણી સામે આવતા તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ચાર્જશીટ બાદ સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે વહીવટી તંત્રમાં પણ ભારે ચકચાર મચી છે.

Most Popular

To Top