Gujarat

ગુજરાત પર ત્રાટકનારા શાહિન વાવાઝોડાને પગલે એનડીઆરએફની 18 ટીમો તૈનાત કરાઈ

ગુલાબ વાવાઝોડાની સિસ્ટમમાંથી છૂટી પડેલી લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં હવે શાહિન વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે. આવતીકાલે રાત્રી સુધીમા શાહિન વાવાઝોડું પ્રતિ કલાકના 60થી 160 કિમીની ઝડપે ગુજરાત પરથી કરાંચી – મકરાન કાંઠા તરફ આગળ વધી જશે, ત્યાં સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ વાવાઝોડાના પગલે રાજ્યમાં આજે રાત્રી સુધીમાં સૌરાષ્ટ્રના ૯ જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની ૧૮ ટીમ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહી તૈનાત કરવામાં આવી છે તેમજ બે ટિમ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શાહિન વાવાઝોડું અને ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

સીએમ પટેલે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઇ મોટું નુકશાન કે જાનહાનિ નહીં થાય તે માટેની સંબંધીત જિલ્લા તંત્રો અને રાજ્ય સરકારના વિભાગોની સજ્જતા સતર્કતા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી પટેલે પોરબંદર અને જુનાગઢ જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના લોકોની સ્થિતી, જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર કરવાના કિસ્સાઓમાં આશ્રયસ્થાન તેમજ ભોજન પ્રબંધ, પવનની ગતિ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી પટેલે રાજ્યના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો-બિચ ઉપર કોઇ પર્યટક-પ્રવાસી નહીં જાય તે માટે તેમજ દરિયામાં માછીમારી માટે ગયેલા સાગરખેડૂઓ સલામત પરત આવી જાય તે માટે જરૂરી સૂચનાઓ અને પ્રબંધ કરવા પણ બેઠકમાં સૂચનો કર્યા હતાં.

મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મહેસૂલના અધિક મુખ્ય સચિવ કમલ દયાની તેમજ માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા અને એન.ડી.આર.એફ ના સીનીયર અધિકારીઓ , મત્સ્યોદ્યોગ, રાહત કમિશનર ગૃહ સચિવ વગેરે આ બેઠકમાં જોડાયા હતાં.

Most Popular

To Top