છત્તીસગઢના સુકમા અને દાંતેવાડા સરહદી વિસ્તારોમાં સુરક્ષા દળોના એક મોટા ઓપરેશનમાં 16 નક્સલવાદીને ઠાર મારવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન જોરમાં ચાલી રહ્યું છે. બંને પક્ષે સતત ગોળીબાર થઈ રહ્યો છે. એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે અને 16 નક્સલીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોના બે સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે શનિવારે સવારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટર કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક જંગલમાં થયું હતું, જ્યાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી પર હતી.
એક અધિકારીએ જણાવ્યું કે આ કામગીરીમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનો સામેલ છે. શુક્રવારે રાત્રે આ વિસ્તારમાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ત્રણ નક્સલીઓ માર્યા ગયા મંગળવારે અગાઉ દાંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા હતા. તેમાં માઓવાદી સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલી પણ હતો, જેના પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. આ સાથે, સ્થળ પરથી INSAS રાઇફલ, 303 રાઇફલ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.
25 લાખનું ઇનામ ધરાવતો નક્સલી ઠાર
પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે દાંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદ પર સ્થિત ગીદમ પોલીસ સ્ટેશન વિસ્તારના ગિરસાપારા, નેલગોડા, બોડગા અને ઇકેલીના સરહદી વિસ્તારોમાં નક્સલીઓની હાજરી અંગે માહિતી મળી હતી.
જેના પગલે DRG અને બસ્તર ફાઇટર્સની ટીમ માઓવાદી વિરોધી કામગીરી પર ગઈ. સુરક્ષા દળોને જોતા જ નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી ગોળીબાર દરમિયાન ત્રણ નક્સલીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા. તેમાંથી એકની ઓળખ સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલી તરીકે થઈ હતી, જેના માથા પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું.
