Dakshin Gujarat Main

ગુજરાતના ચેરાપુંજી ઉમરપાડામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકતાં નદીઓ છલકાઈ

ઉમરપાડા: ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મળસ્કેથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 4 કલાકમાં ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. નદી-નાળાઓ છલકાઈ ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોરે 12 વાગ્યે વરસાદે વિરામ લેતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

રાજ્યમાં 20 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે તા. 15 જુલાઈની સવારથી ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડામાં સવારે 4 કલાકમાં 14 ઈંચ વરસાદ પડતાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોહન નદી, વરેહ નદી બે કાંઠે વહેતી થઈ છે.

વરેહ નદીમાં ઘોડાપૂર આવતા બે કાંઠે વહી, લુહારવડથી કોલખડી જતો માર્ગ બંધ થયો.

લોકો સવારે ઉઠે તે પહેલાં જ ઘરોની બહાર, શેરી-મહોલ્લામાં સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. તેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉમરપાડા ઉપરાંત ભરૂચના નેત્રંગમાં 5 ઈંચ અને નર્મદાના ગરૂડેશ્વરમાં સવારે 2 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે.

ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ પડવાના લીધે સુરત જિલ્લાનું ઈકો ટુરિઝમ દેવઘાત ધોધ જતો રસ્તો બંધ કરી દેવાયો છે. લો લેવલ કોઝવે પણ બંધ કરાયો છે. તે ઉપરાંત પંચાયત હસ્તકના ચાર રોડ વલપાડાથી હલધરી, શરદાથી હલધરી, ઉમરઝરથી શામપુરા અને વહારથી બલાલકુવા રોડ ઓવરટોપિંગના કારણે બંધ કરાયા છે. આ તરફ વાલીયા તાલુકામાં ડહેલી ગામ જવાનો રસ્તો બંધ કરાયો છે.

નેત્રંગના ચાલ ગામ નજીક નાળુ ધોવાઈ જતા મોવીથી દેડીયાપાડાનો રસ્તો બંધ કરાયો

આ તરફ ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નર્મદાના ગરુડેશ્વરમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. અહીં રાજપીપળાના સ્ટેશનરોડ, કાછીયાવાડ, સત્યમનગર કોલોની સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લાના સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળા સહિત રાજપીપલા શહેર માં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

Most Popular

To Top