Charchapatra

હું ખાતો નથી અને ખાવા દેતો નથી

સાહેબના એક એક શબ્દો,વાક્યો અને ભાષણો આજે કયા અર્થમાં લેવા એ સમજતા નથી.ઘણા પ્રચલિત ડાયલોગમાંથી એક ડાયલોગ આ શીર્ષક પણ હતું. હવે એ ભ્રષ્ટાચાર વિરોધમાં હતું કે પછી મોંઘવારી માટે.જો મોંઘવારી માટે હોય તો સાચે જ આજે લાખો લોકોને બે ટાઇમ પૂરતું ખાવાનું પણ ન મળે એટલે બધો વિકાસ થઈ ગયો છે.ક્યાં પછી સાહેબની સમજણ મુજબ વાત કરીએ તો ખાવાનું નથી મળતું એમ નહિ પણ લોકોની ભૂખ જ મરી ગઈ છે.જો ખાતો નથી ખાવા દેતો નથી એ ભ્રષ્ટાચારના વિરોધમાં હોય તો ગઈ કાલના દેશના ટોચના ભ્રષ્ટાચારી આજે સાહેબ સાથે સત્તામાં શું કરે છે? ભ્રષ્ટાચાર નથી તો પૂલ બનવા પહેલાં અને રોડ રસ્તા બનીને તરત કેમ તૂટે છે? 

પરીક્ષાનાં પેપરો કેમ ફૂટે છે? નીટ જેવી પરીક્ષા જેમાં સરકારને ૪૦૦ કરોડ રૂપિયાની આવક થાય તો પણ કેમ તેમાં ગેરરીતિ થાય છે? કયો ડંકો દુનિયામાં વાગે છે? કઈ આર્થિક મહાસત્તા કે કયા વિશ્વગુરુની વાતો થાય છે, કંઇ જ સમજાય એવું નથી.એક પણ ભાજપ કાર્યાલયમાં દીવાલ પડી ગઈ કે વરસાદનાં પાણીથી નુકસાન સામે આવ્યું? પણ રામમંદિરમાં વરસાદથી પાણી પડવાના સમાચાર આવ્યા.શાળાઓની દીવાલ તૂટી પડવાના સમાચાર આવ્યા.નવા બનેલા એરપોર્ટ પર પાણી ભરાઈ જવાના સમાચાર આવ્યા.તો પણ હજુ જો લાગતું હોય કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી એ ભ્રષ્ટાચારના સંદર્ભમાં હતું તો સલામ છે આવી અંધ ભક્તિને.
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top