12 ખાતા ખોલાવી સાયબર ફ્રોડના ₹50.01 લાખ ફેરવ્યા, બાપોદ પોલીસની તપાસમાં મોટો ખુલાસો
વડોદરા, તા.4
વડોદરામાં સાયબર માફિયાની નવી અને ખતરનાક પદ્ધતિ સામે આવી છે, જેમાં સામાન્ય નાગરિકોને સરકાર તરફથી ₹2500ની સહાય મળશે તેવી લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવી તેને ‘મ્યૂલ એકાઉન્ટ’ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ ખાતાઓ મારફતે દેશભરમાં થયેલા સાયબર ફ્રોડના કુલ ₹50.01 લાખ જેટલા નાણા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું બાપોદ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા માજીનગરમાં રહેતી જોત્સનાબેન રાયમલભાઈએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અરજી મુજબ, નીતીન રાજપુત અને હની સિંધી નામના બે શખ્સોએ નવેમ્બરથી ડિસેમ્બર 2025 દરમ્યાન મહિલાઓ અને અન્ય લોકોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તેમ કહી દાંડિયા બજાર સ્થિત ઇન્ડિયન ઓવરસીસ બેંકમાં ખાતા ખોલાવ્યા હતા.
આ ખાતા ખોલાવતી વખતે આરોપીઓ ગ્રાહકોને ભુતડીઝાંપા વિસ્તારમાંથી નવા સીમકાર્ડ ખરીદાવી આપતા હતા અને આધાર કાર્ડ તથા પાનકાર્ડ જેવા દસ્તાવેજો લઈ ખાતું ખોલાવવાનું કામ કરાવતા હતા. ખાતા ખોલાયા બાદ આરોપીઓ ખાતાધારકો પાસેથી પાસબુક, ચેકબુક અને એટીએમ કાર્ડ લઈ લેતા હતા. ત્યારબાદ તેમને એટીએમમાં લઈ જઈ પીન જનરેટ કરાવી માત્ર ₹2500 રોકડ આપી દેતા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ 12 ખાતાઓમાં નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમ્યાન આશરે ₹50.01 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ તમામ રકમ સાયબર ફ્રોડથી મેળવવામાં આવેલી હતી અને યુપીઆઈ મારફતે અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. વધુમાં, એનસીઆરપી (નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ) પર તપાસ કરતાં 12માંથી 4 ખાતાઓ સામે અગાઉથી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે તપાસ દરમિયાન નીતીન શીવમંગસિંહ ભદોરીયા ઉર્ફે નીતીન રાજપુત (રહે. વાઘરીવાસ, જોગણીમાતા મંદિર પાસે, વારસીયા) તથા હર્ષ રવિ ગુરબક્ષાની ઉર્ફે હની સિંધી (રહે. મીરાનગર, હરણી-વારસીયા રિંગ રોડ)ની સંડોવણી હોવાનું જાહેર કર્યું છે. બંને આરોપીઓ બેંકની બહાર ઉભા રહી ખાતાધારકોને અંદર મોકલતા હતા અને ખાતું ખોલાયા બાદ તમામ બેંક કીટ પોતાના કબજામાં લઈ લેતા હતા.
બાપોદ પોલીસે ઇન્ડિયન ઓવરસીસ બેંકમાંથી તમામ 12 ખાતાના સ્ટેટમેન્ટ મેળવી તપાસ શરૂ કરી છે અને સાયબર ક્રાઇમ વિભાગ સાથે સંકલન કરી વધુ ગુનેગારો સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારની સરકારી સહાયના નામે જો કોઈ વ્યક્તિ બેંક ખાતા ખોલાવવા અથવા દસ્તાવેજો માગે તો સતર્ક રહેવું અને તરત પોલીસને જાણ કરવી.