Vadodara

વિવાદી અગોરા મોલના ક્લબ હાઉસનું દબાણ તોડવાનું કામ બીજા દિવસે પણ જારી

વિશ્વામિત્રીમાં પૂર માટે નિમિત્ત બનેલા અગોરા મોલના ગેરકાયદે બાંધકામ પૈકીના ક્લબ હાઉસ તોડવાનું કામ બીજા દિવસે પણ જારી રખાયું હતું. લગભગ 50 ટકા બાંધકામ દૂર કરાયું હતું. જોકે , જાણકારો આખો મોલ જ ગેરકાયદે હોવાનું જણાવી રહ્યા છે.
વડોદરાના વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારના ગેરકાયદે બાંધકામો તોડી નાંખવા મુખ્યમંત્રીની ફટકાર બાદ મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ સર્વેની થયેલી કામગીરી પ્રમાણે દબાણો તોડવા દબાણ શાખાને સૂચના આપી હતી. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશને ખાનગી કંપની અને ડ્રોન દ્વારા બાંધકામ અંગેનો સર્વે કરાવવામાં આવ્યો હતો. જેનો અહેવાલ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયાએ નદી કાંઠાના ગેરકાયદે બાંધકામ અંગે માર્ગદર્શન માગ્યું હતું, તે આધારે મુખ્યમંત્રીએ પણ દબાણો તોડવા કમિશનરને સૂચના આપી હતી. ત્યારબાદ 13 ગેરકાયદે બાંધકામને કોર્પોરેશને નોટિસ ફટકારી હતી અને 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા બાંધવામાં આવેલા અગોરા મોલનું ક્લબ હાઉસનું 3000 ચોરસ મીટરનું બાંધકામ તોડવાની કામગીરી વડોદરા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે આજે બીજા દિવસે પણ ચાલું રહી છે. જ્યારે હવે રિટનિંગ વોલ બાંધીને નદીના પટમાં અંદાજે 15 થી 20 મીટર સુધી પૂરાણ કર્યું છે તે હવે દિવાલ તોડવી કે કેમ તે અંગે કેબિલિટી રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top