વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી હવે વધુ સુંદર અને હરિયાળી બનતી જાય છે. નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ કચેરીને સુશોભિત કરવા માટે પગલાં લેવાયા છે. નવી જવાબદારી સંભાળ્યા બાદથી કમિશનર શહેરના વિકાસ સાથે પાલિકા કચેરીના વાતાવરણમાં પણ સુધારાની દિશામાં કાર્યરત થયા છે. કચેરીના કૉરીડોર અને પ્રવેશદ્વાર સહિતના વિસ્તારોમાં વિવિધ પ્રકારના હરિયાળાં છોડના પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે. આ છોડ માત્ર સૌંદર્ય માટે નહીં પરંતુ કચેરીના વાતાવરણને તાજગીભર્યું બનાવવા માટે પણ ઉપયોગી સાબિત થઈ રહ્યાં છે. મહાનગરપાલિકા ના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ભગવાન શિવજીની પ્રતિમાની સ્થાપનાનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે, જે નૈતિક અને સાંસ્કૃતિક સંદેશ આપશે. શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે સતત પગલાં લઈ રહેલા કમિશનર અરુણ મહેશ બાબુ પાલિકા કચેરીની અંદર પણ આવો જ વ્યવસ્થિત દ્રષ્ટિકોણ અપનાવી રહ્યા છે.