ભારતીય પરંપરા મુજબ દરેક શુભ કાર્યમાં સૌપ્રથમ વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ વડોદરા શહેર સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળો અને સોસાયટીઓમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરવામાં આવી છે. દસ દિવસના આ ઉત્સવ દરમિયાન વિવિધ પંડાલોમાં થીમ આધારિત કાર્યક્રમો અને સામાજિક સંદેશાઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે. વડોદરામાં જાહેર સ્થળો તથા સોસાયટીઓમાં મોટા પાયે પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાએ પંડાલ આયોજકોને સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને પ્રતિમાની સ્થાપના અને વિસર્જન સમયે હોસ્પિટલ તથા રહેણાંક વિસ્તારોમાં ઓછા અવાજવાળી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા જણાવાયું છે. અવાજના પ્રદૂષણથી આરોગ્યને નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા તેમજ આગ કે અન્ય અણધારી પરિસ્થિતિ માટે જરૂરી સાધનો નજીકમાં ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપવામાં આવી છે.